રાજકોટમાં કોરોનાના હાહાકાર વચ્ચે પાન-મસાલાની દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો કર્યા નિર્ણય, વેપારી એસોસિએશનના નિર્ણયને લઇને વેપારીઓમાં મતભેદ
રાજકોટ પાન. એસોસિએશનનો મહત્વનો નિર્ણય
શનિ અને રવિવારના સ્વૈચ્છિક બંધનો નિર્ણય
રાજકોટમાં શનિ-રવિ સ્વૈચ્છિક બંધનો નિર્ણય
રાજકોટ કોરોનાની બેકાબૂ પરિસ્થિતિના કારણે શનિવાર અને રવિવારના રોજ પાનની દુકાનો બંધ રહેશે. જી હાં...રાજકોટમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાને રાખી વેપારીઓએ મોટો નિર્ણય કર્યો છે. જે મુજબ સપ્તાહમાં વેપારીઓ શનિવાર અને રવિવારના રોજ પાનના ગલ્લા બંધ રાખશે.
તો બીજી તરફ વેપારી એસોસિએશનના નિર્ણયને લઇને વેપારીઓમાં મતભેદ જોવા મળી રહ્યો છે. કેટલાક વેપારીઓ સ્વૈચ્છિક બંધમાં નહીં જોડાય તેવી જાહેરાત કરી છે. મહત્વનું છે કે, રાજકોટમાં પાનના ગલ્લા પર હરહંમેશા માટે મોટી ભીડ જોવા મળે છે. જેને કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો છે. જેથી વેપારી એસોસિએશને સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે.
આ તરફ રાજકોટ બે દિવસ માટે સ્વયંભૂ બંધ રહશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે શનિ અને રવિવાર બે દિવસ બંધની જાહેરાત કરી છે. ચેમ્બરની સાથે 28થી 30 એસોસિએશન પણ બંધમાં જોડાશે. આમ, શનિ અને રવિવારે રાજકોટમાં વેપાર ઉદ્યોગ સંપૂર્ણ બંધ રહેશે. કોરોના વાયરસના કારણે સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે. ત્યારે સંક્રમણને અટકાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સે બંધનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 30 એપ્રિલ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી શ્રદ્ધાળુઓ મા ખોડલના પ્રત્યક્ષ દર્શન નહીં કરી શકે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના દ્વાર સંપૂર્ણ બંધ રહેશે. જો કે, સોશિયલ મીડિયાના માધ્યમથી મા ખોડલના દર્શન કરી શકાશે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ઓનલાઈન પૂજા વિધિ કરી ધ્વજારોહણ કરી શકાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. સાથે જ માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં શું છે કોરોનાની સ્થિતિ
સૌરાષ્ટ્રમાં કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું, કેસ વધતાની સાથે સમસ્યા વધે છે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં 300 કેસ રોજ આવતા હતા. આજે 4 હજાર કેસ થઈ ગયા છે. જેને લઈ સરકારે ત્રણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાં ટેસ્ટિંગ વધારવું, આજે રોજના સવા લાખ ટેસ્ટિંગ રાજ્યભરમાં થઈ રહ્યા છે. તો રાજકોટની સમરસ હોસ્ટેલમાં ઓક્સિજનની પાઈપલાઈન નાખવાની કામગીરી થઈ રહી હોવાની પણ વાત કરી છે.
રાજકોટમાં કેટલા બેડ ખાલી?
મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં નવા કેસ સામે આવતા નવા 15 હજારથી વધુ બેડ વધાર્યા છે. રાજકોટમાં પણ 6631 બેડની કુલ સંખ્યા આગામી દિવસમાં થઈ જશે. રાજકોટમાં હાલ 4293 બેડ રાજકોટ જિલ્લામાં છે. હાલ રાજકોટમાં 1700 બેડ ખાલી છે. આ બેડ સમરસ હોસ્ટેલ અને સિવિલ હોસ્પિટલ સહિતના કેન્દ્રોની વાત છે.