બેન્કિંગ ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે ભારતીય રિઝર્વ બેન્કએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડને સિક્યોર કરવા માટે નવા પગલાં ભર્યા છે. જેને ઓક્ટોબર મહિનાથી લાગુ કરી દેવામાં આવ્યા છે. જેથી હવે તમારે આ નિયમો અંગે જાણી લેવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. જેથી તમે કોઈપણ બેન્કિંગ ફ્રોડનો શિકાર થતા બચી શકો. હવે બેન્કો દ્વારા ઇશ્યૂ કરેલાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માત્ર ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન માટે જ ઉપયોગ કરી શકાશે. આ એટીએમ તથા પોઇન્ટ ઓફ સેલ માટે હશે. જો કોઈ કસ્ટમર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે તેનો ઉપયોગ કરવા માંગે છે તો તેણે પોતાની બેન્કનો સંપર્ક કરવો પડશે. ચાલો જાણીએ RBIના આ નિયમો વિશે.
તમામ નવા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ માત્ર એટીએમ અને પોઇન્ટ ઓફ સેલ પર ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન માટે જ ઉપયોગ કરી શકાશે. તેમાં ફરી ઇશ્યૂ થનારા કાર્ડ પણ સામેલ હશે.
પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર અન્ય સુવિધાને શરૂ કરાવવા માટે કાર્ડ હોલ્ડરને બેન્કનો સંપર્ક કરવો પડશે. બેન્કનો સંપર્ક કરવા પર એક પ્રક્રિયા હેઠળ તેમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન અનેકોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવામાં આવશે. હવે આ સર્વિસિસની સુવિધા ડિફોલ્ટ તરીકે નહીં મળે.
જો તમે ભારતની બહાર પોતાનું કાર્ડ ઉપયોગ કરવા માંગો છો તો તમારે બેન્કને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનની સુવિધા શરૂ કરવા માટે કહેવું પડશે. અત્યાર સુધી મોટાભાગની બેન્કો નવું કાર્ડ ઇશ્યૂ કરતી વખતે ડિફોલ્ટ તરીકે જ આ સુવિધા આપે છે, જેમાં કાર્ડનો ઉપયોગ દુનિયામાં ક્યાંય પણ કરી શકાય છે.
બેન્કો પાસે અધિકાર હોય છે કે હાલના કાર્ડ્સને રદ કરી નવા કાર્ડ ઇશ્યૂ કરે. બેન્ક આ નિર્ણય જોખમના આધારે લેશે.
જો કોઈ વ્યક્તિએ પહેલાં પોતાના કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કે કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન માટે નથી કર્યો તો બેન્કો પાસે વિકલ્પ હશે કે તેઓ આ સુવિધાને બંધ કરી દે.
કાર્ડ હોલ્ડરની પાસે વિકલ્પ હશે કે તે કોઈ વિશેષ સુવિધાને સ્વિચ ઓન કે ઓફ કરી શકે. હવે કાર્ડ હોલ્ડર પર નિર્ભર કરશે કે તે એટીએમ ટ્રાન્ઝેક્શન, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કે અન્ય સુવિધાને બંધ કરી શકે.
આરબીઆઇએ કહ્યું છે કે ગ્રાહકોને પોતાના કાર્ડ પર ટ્રાન્ઝેક્શન લિમિટ નક્કી કરવાનો વિકલ્પ પણ હશે.
આરબીઆઈએ બેન્કોને લિમિટમાં ફેરફાર કરવા, કેટલીક સેવાઓ બંધ કરવા કે શરૂ કરવા જેવા માટે 24x7 મોબાઇલ એપ્લિકેશની સુવિધા આપવા માટે કહ્યું છે. બેન્ક બ્રાન્ચ અને એટીએમ ઉપર પણ સુવિધા ઉપલબ્ધ હશે.
અનેક બેન્ક નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન એટલે કે એનએફસી ટેક્નોલોજી આધારિત કાર્ડ્સ પર ઇશ્યૂ કરી રહ્યા છે. તેમાં કોઈ મર્ચન્ટને કાર્ડ સ્વાઇપ કરવાની જરૂર નથી હોતી. તેને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન પણ કહેવામાં આવે છે. હવે કાર્ડ હોલ્ડર્સની પાસે એનએફસી ફીચરને પણ બંધ કરવાનો વિકલ્પ હશે.
નવા નિયમ પ્રીપેડ ગિફ્ટ કાર્ડ્સ અને માસ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં ઉપયોગ થનારા કાર્ડ્સ ઉપર નહીં લાગુ થાય. આરબીઆઈએ તેના વિશે પણ જાણકારી આપી છે.