ગુજરાતમાં શિક્ષણ વિશે કોંગ્રેસના બે ધારાસભ્યો દ્વારા ખાનગી શાળા અને સરકારી શાળા પાછળ થતા બજેટના ખર્ચા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
CM વિજય રૂપાણીનું ગૃહમાં નિવેદન
''ચાર ઝોનમાં JEE-NEETના સેન્ટર ઉભા કરાશે''
''કોટાની પદ્વતિથી તૈયારીઓ કરવામાં આવશે''
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે રોજબરોજ અનેક મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા ચાલી રહી છે. તો આજે ગુજરાતમાં શિક્ષણ વિશે કોંગ્રેસના બે ધારાસભ્યો દ્વારા ખાનગી શાળા અને સરકારી શાળા પાછળ થતા બજેટના ખર્ચા વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ખાનગી શાળા મુદ્દે MLA ગ્યાસુદ્દીન શેખના સરકાર પર પ્રહાર કર્યા છે.સાથે અપીલ પણ કરી છે કે, સરકારે ખાસ કરીને સરકારી શાળાઓમાં ધ્યાન રાખવાની જરૂર છે. સરકાર ખાનગી શાળાના ખોળે બેઠી હોય એવું લાગે છે. સરકારે 25ના બદલે ફીમાં 50% રાહત આપવાની જરૂર હતી. કારણ કે, 34% લોકો પાસે ઈન્ટરનેટ-મોબાઇલની વ્યવસ્થા નથી. માર્ચ મહિનો વીત્યો એડમિશન શરૂ થયા નથી. આ ઉપરાંત શિક્ષણ ગુણવત્તાયુકત આપવું જોઈએ તેવી અપીલ કરી છે. સરકારી શાળાઓ ઉપરાંત મદરેસામાં કુરાન ઉપરાંત શિક્ષણ આપવાની મંજૂરી માગે તો સરકારે આપવી જોઈએ તેવી માગ કરી છે.
ખાનગી શાળાઓની ફી નહીં વધારવા માંગ કરવામાં આવી છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે શિક્ષણ બજેટ ફાળવણીમાં દેશમાં ગુજરાતનો 13મો નંબર છે. જૂના શિક્ષકોને 4200નો ગ્રેડ પે અપાય. ફેમિલી પેન્શનનો લાભ અધ્યાપકોને અપાય.
રાજસ્થાનના કોટા પદ્ધતિથી ગુજરાતમાં શિક્ષણ
રાજ્યમાં JEE અને NEETની તૈયારીઓ કરાવા માટે સ્પેશિયલ સ્કૂલો ઉભી કરાશે. સીએમ વિજય રૂપાણીએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું કે રાજ્યના વિદ્યાર્થીઓને વધુ સુવિધા અપાશે. ચાર ઝોનમાં સ્પેશિયલ સ્કૂલો ઉભી કરાશે. અમાદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પેશિયલ સ્કૂલ ઉભી કરાશે. અને કોટાની પદ્વતિથી NEET અને JEEની તૈયારીઓ કરાવાશે. દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરાવાશે.