ચીનમાં કોરોના વાયરસનો કેર સતત જારી છે. આ જીવલેણ વાયરસને કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે ૧૩૦૦થી પણ વધુ લોકોનાં મોત થયાં છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચીનમાં ગઈ કાલે બુધવારે એક જ દિવસમાં ૨૪૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘાતક કોરોના વાયરસના કારણે ફક્ત ૨૪ કલાકમાં થયેલાં મોતનો આ સૌથી મોટો આંકડો છે.
ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત
હાલ સુધીમાં ૧,૩૫૫ લોકોના થયા મોત
મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન થયું રદ્દ
ચીનમાં ખતરનાક બની ગયેલા કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ ૧,૩૫૫ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે અંદાજે ૬૦ હજાર લોકોને તેનો ચેપ લાગ્યો છે. બીજી તરફ, કોરોના વાયરસની અસર બાર્સિલોનામાં યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (એમડબ્લ્યુસી-૨૦૨૦) પર પણ પડી છે. ૨૪થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી દુનિયાની આ સૌથી મોટી મોબાઈલ ઇવેન્ટને કોરોના આતંકને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવી છે.
મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન કરવું અશક્ય
જીએસએમએના સીઈઓ જ્હોન હોફમેને કહ્યું હતું કે, કોરોના વાયરસના સતત વધતા જતા ચેપના કારણે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન કરવું અશક્ય છે. હકીકતમાં, ઘણી મોટી કંપનીઓએ કોરોના વાયરસને કારણે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો છે, જેમાં એરિક્સન, એમેઝોન, સોની, ઇન્ટેલ, એલજી, મીડિયા ટેક, વિવો, ફેસબુક અને નોકિયા મુખ્ય છે.
કંપનીઓના વ્યવસાયને પણ માઠી અસર
આ વખતે બાર્સિલોનામાં યોજાનારી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ૨૦૦ દેશના લગભગ એક લાખ પ્રતિનિધિ સામેલ થવાના હતા. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ એ તમામ મોટી કંપનીઓ માટે તેમનાં ઉત્પાદનો લોન્ચ કરવા માટેનું એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માને છે કે, કોરોના વાયરસને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે કેમ કે અનેક દિગ્ગજ મોબાઇલ કંપનીઓ ચીનની છે, જેમાં શાઓમી, ઓપ્પો, વિવો, રિયલમી અને પોકો મુખ્ય છે. કોરોના વાયરસને કારણે આ કંપનીઓના વ્યવસાયને પણ માઠી અસર થઈ છે.
ક્રૂઝ પર બે ભારતીય નાગરિકના રિપોર્ટ પોઝિટિવ
બીજી તરફ જાપાનના દરિયા કિનારે રોકી રખાયેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ પર કોરોના વાયરસના ચેપ અંગેના બે ભારતીય નાગરિકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ ક્રૂઝ પર કુલ ૩,૭૧૧ મુસાફરો સવાર છે, જેમાંથી ૧૩૮ ભારતીય છે.
ક્રૂઝ પરના ૧૭૪ લોકો કોરોના વાયરસથી સંક્રમિત
ગઈ કાલે બુધવારે જાપાનમાં ભારતીય દૂતાવાસે અધિકારીઓના હવાલાથી એ વાતની પુષ્ટિ કરી હતી કે, અત્યાર સુધીમાં ક્રૂઝ પરના ૧૭૪ લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની વાત સામે આવી છે. ગયા અઠવાડિયે જ ડાયમંડ પ્રિન્સેસ જહાજ જાપાનના દરિયા કિનારે પહોંચ્યું હતું.
ક્રૂઝમાં પણ લોકોને લાગ્યો કોરોનાનો ચેપ
આ ક્રૂઝમાં અનેક વ્યક્તિઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાથી ક્રૂઝનેરોકી રાખવામાં આવ્યું છે. ક્રૂઝ પરના એક પણ મુસાફરને જાપાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને તેમને ત્યાં ૧૪ દિવસ સુધી રોકી રાખવામાં આવ્યા છે. એટલે કે હવે ૧૯ ફેબ્રુઆરીએ ક્રૂઝમાં હાજર લોકો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.