ચીનમાં જીવલેણ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા આજે સવારે વધીને 2,112 પર પહોંચી ગઈ છે. ચીનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મોટાભાગના મોત ચીનના હુબેઇ પ્રાંતમાં થયાં છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશભરમાં 74,000 થી પણ વધુ લોકોને ઘાતક કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.
ચીનમાં જીવલેણ કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 2,112 પર પહોંચી
ચીનમાં 74,000 થી પણ વધુ લોકોને ઘાતક કોરોના વાઈરસનો ચેપ લાગ્યો
પ્રાંતીય આરોગ્ય આયોગના કહેવા અનુસાર, આજે સવાર સુધીમાં હુબેઇમાં કોરોના વાઈરસના 349 નવા કેસ સામે આવ્યા છે અને 108 લોકોનાં મોત નીપજ્યાં છે. આમ અત્યાર સુધી એકલા હુબેઇમાં જ કોરોનાને લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 2029 થઈ ગઈ છે.
દરમિયાન, જાપાનના યોકોહામા પોર્ટ પર રોકવામાં આવેલા ક્રૂઝ જહાજ ડાયમંડ પ્રિન્સેસ પર કોરોના વાઈરસને કારણે બે લોકોના મોત થયાં છે અને અત્યાર સુધીમાં સાત ભારતીયોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. ચેપની અસર ધરાવતા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ જહાજ પર 138 ભારતીય છે, જેમાંથી 132 ક્રૂ મેમ્બર અને 6 યાત્રીઓ છે. બીજી તરફ ચીનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે આજે એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન વિહાન પહોંચશે. આ વિમાનમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત લોકો માટે દવાઓ અને મેડિકલ ઉપકરણો પણ ઉપલબ્ધ હશે.
ચીનમાં કોરોના વાઈરસથી સંક્રમણના કેસોમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચીનના ગઈ કાલે એક મહિનામાં સૌથી ઓછા 628 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે.