દેશભરમાં ઓમિક્રોનનો ભરડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં ઓમિક્રોનથી એક વ્યક્તિનું મોત થતાં હડકંપ મચી જવા પામ્યો છે. આમ દેશમાં ઓમિક્રોનથી 2 મોત થયાં છે.
ભારતમાં ઓમિક્રોનનો આતંક વધ્યો
રાજસ્થાનમાં 73 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ
સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર
રાજસ્થાનના ઉદયપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ઓમિક્રોનથી સંક્રમિત 73 વર્ષીય વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઓમિક્રોનથી સંક્રમિત દર્દીના મૃત્યુનો દેશમાં આ બીજો કેસ છે. કોવિડ સંક્રમણ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
21 ડિસેમ્બરે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
બાદમાં સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ પર 25 ડિસેમ્બરે તેઓ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું હતું. આ પહેલા 21 ડિસેમ્બરે પણ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ હવે તેમનું મોત થયું છે. તબીબી વિભાગના જણાવ્યા અનુસાર, શક્ય છે કે તેણે પોસ્ટ કોવિડ ન્યુમોનિયા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોય. તેઓ હાઈપરટેન્શન અને હાઈ ડાયાબિટીસથી પણ પીડિત હતા.
Rajasthan| A 73-year-old man who was tested positive for Covid's Omicron strain on Dec 15, died today. Later, he was tested negative two times, so this will not be called a COVID death but a post-Covid death: Dr Dinesh Kharadi, Chief Medical and Health Officer Udaipur Division pic.twitter.com/zK0ES1L9bZ
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં 28 ડિસેમ્બરે હૃદયરોગના હુમલાથી 52 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું. તેના નમૂનાઓનો જીનોમ સિક્વન્સ રિપોર્ટ ગુરુવારે આવ્યો હતો જેમાં તે ઓમાઇક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ઓમિક્રોન પોઝિટીવ 52 વર્ષીય દર્દી તાજેતરમાં નાઇજીરિયાથી પાછો ફર્યો હતો. તે ૧૩ વર્ષથી ડાયાબિટીસથી પીડાતો હતો. જોકે મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે ઓમિક્રોન દર્દીનું મૃત્યુ નોન-કોવિડ કારણોસર થયું હતું. રાજ્યના જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ એક યોગાનુયોગ છે કે આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવેલા મૃતકોના નમૂનાઓના અહેવાલમાં તે ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતમાં ઓમિક્રોનની સ્થિતિ
ભારતમાં ઓમીક્રોનનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે કોરોનાનાં કુલ નવા કેસનો આંકડો 16000 ઉપર પહોંચ્યો હતો તો સામે ઓમીક્રોનના કેસ 1200 ઉપર પહોંચી ગયા છે.
ભારતમાં ઓમિક્રોનનો વધ્યો ખતરો
ભારતમાં ઓમીક્રોનનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના ઘણા કેસ ભારતમાં પણ નોંધાયા છે. હવે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધીને 1,270 થઈ ગયા છે. તો સામે 374 દર્દીઓ સાજા થયા છે.
23 રાજ્યોમાં પહોંચ્યો ઓમિક્રોન
જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ દેશના 23 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. કોરોનાના આ પ્રકારના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ દર્દીઓની સંખ્યા 450 થઈ ગઈ છે. તો દિલ્હી બીજા નંબર પર છે, જ્યાં ઓમિક્રોનના 320 કેસ મળી આવ્યા છે.ઓમિક્રોનના ખતરા વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા 10,000ને પાર કરી ગઈ છે. દેશમાં 16,764 નવા કોરોનાનાં કેસ આવ્યા હતા અને 220 દર્દીઓના મોત થયા હતા.
કયા રાજ્યમાં કેટલા કેસ
કેરળમાં 109, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69 અને તેલંગાણામાં 62 દર્દીઓ મળી આવ્યા છે. તમિલનાડુમાં ઓમિક્રોનના 46 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 29 સાજા થઈ ગયા છે. ઉપરાંત, કર્ણાટકમાં ઓમિક્રોનના 34 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 18 સાજા થઈ ગયા છે. આંધ્ર પ્રદેશમાં ઓમિક્રોનના 16 દર્દીઓ મળી આવ્યા છે. હરિયાણા અને ઓડિશામાં ઓમિક્રોનના 14-14 કેસ નોંધાયા છે.
પશ્ચિમ બંગાળ સરકારે લીધા પગલાં
ઘણા રાજ્યોએ ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સાવચેતીના પગલાં લેવાનું અને સતર્ક રાખવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે તે 3 જાન્યુઆરીથી યુકે અને 'સૌથી વધુ જોખમ ધરાવતા' દેશોની તમામ સીધી ફ્લાઇટ્સ સ્થગિત કરી રહી છે.
મહારાષ્ટ્રમાં પગલાં
મહારાષ્ટ્ર સરકારે કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને ગુરુવારે લગ્ન, સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો અને અંતિમ સંસ્કારમાં હાજરી પર નવેસરથી પ્રતિબંધની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે લગ્ન અથવા અન્ય સામાજિક, રાજકીય અથવા ધાર્મિક કાર્યક્રમોમાં ફક્ત 50 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ હાજર રહી શકશે.