અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા જંગલ અને ડુંગરાળ વિસ્તાર ખાતેના રમણીય અને પ્રસિદ્ધ હનુમાન ગાળા આશ્રમના મહંતનો દેહવિલય થયો છે. આ અંગેની જાણ થતાં તેમના વિશાળ ભકતોમાં આઘાતની લાગણી પ્રસરી છે. પૂજ્ય મહંત હરીદાસબાપુનો દેહવિલય થતાં અંતિમ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા અને જગ્યાના મહંત હરીદાસબાપુના દેહવિલયથી અનેક રાજકીય મહાનુભાવો, સંતો મહંતો તથા શિષ્ય સમુદાયે દુ:ખ વ્યકત કર્યુ હતુ. ભક્તો, સેવકોએ દુઃખની લાગણી વ્યક્ત કરી સતાધાર ખાતે હરીદાસ બાપુએ દેહ છોડતા સ્વર્ગસ્થ આત્માને ભાવાંજલિ અર્પી હતી.
પ્રાચીન હનુમાનજી મહારાજનું સ્થાનક સ્થાનિકોના આસ્થાનું કેન્દ્ર
હનુમાનગાળાએ ખાંભા તાલુકાના જંગલ અને તુલસીશ્યામ રેન્જનું નરી પ્રકૃતિથી હર્યું ભર્યું નયનરમ્ય સ્થળ છે. આ સ્થળે ખાસ કોઈ મોટું મંદિર કે વિશાળ આશ્રમ નથી પરંતુ નાનો આશ્રમ છે જયા લોકો શ્રધ્ધા પૂર્વક આવે છે. જ્યાં વિદેશી પક્ષીઓ આવાગમન કરતા હોવાથી પક્ષી નિરીક્ષકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે માણવા અને જાણવા લાયક જગ્યા છે. જંગલ વિસ્તારની આસપાસમાં વસતા નેસના માલધારીઓ, ભાવિકો અને પશુ ઢોરને ચરાવતા પૌરાણિક લોકોએ સંશોધિત આ અતિ પ્રાચીન શ્રી હનુમાનજી મહારાજનું સ્થાનક હોવાનું જાણવા મળે છે. જંગલોની ઝાડીઓ વચ્ચે આવેલ એક અલાયદો નાનો આસ્થાનું કેન્દ્ર આશ્રમ એટલે હનુમાનગાળા. આશ્રમથી 1 કિલોમીટર દૂર ઘેઘૂર જંગલમાં હનુમાનજીની મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે.