ગીરના દલખાણીયામાં સિંહોના મોતનો સિલસિલો હજી પણ યથાવત છે. સિંહોના મોતનો આંકડો 23એ પહોંચ્યો છે. જો કે સિંહો ના અચાનક મૃત્યુ પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. ત્યારે દિલ્હીથી અધિકારીઓ અને ભારતભરના વેટનરી ડોક્ટરો જસાધાર ખાતે આવેલ એનિમલ કેર સેન્ટર ઉપર ધાડેધાડા ઉતરી આવેલ છતાં સિંહ ના મોત અંગેનું કારણ વનવિભાગ જાણી ના શક્યું. તેમજ તેમના મોત ને રોકી પણ ના શક્યું.
આ મામલે લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ સરકાર અને વનવિભાગ પર આક્ષેપ કરતા જણાવ્યુ છે કે આ તમામ સિંહોના મોતના જવાબદાર છે. સરકાર અને વનવિભાગ દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવતી નથી.
દલખાણીયા રેન્જ સિવાય અન્ય કોઈ રેન્જ માં સિંહોનું મોત થયેલ નથી. જેથી એ બાબતનું કારણ જાણવામાં પણ વનવિભાગ ખાતું અસમર્થ રહેલ છે. સિંહોના થયેલ મોત અંગે વન અધિકારીઓએ મૌન સેવી લીધેલ છે. આ મામલે વનવિભાગના અધિકારીઓ કોઈ પણ માહિતી આપવા માટે પણ ઈન્કાર કરી રહ્યા છે. અત્યાર સુધી 23 સિંહોના મોત બાદ પણ જસાધાર RFO રજા પર ઉતર્યા છે. સિંહોના મોત બાદ ઓફિસમાં જવાબદાર અધિકારીઓની ગેરહાજરી જોવા મળી છે..
ઉલ્લેખનીય છે કે વન વિભાગે શરૂઆતમાં એવું કહ્યું હતુ કે મોટાભાગના સિંહો ઇન્ફાઇટમાં મૃત્યુ પામ્યા છે. ગુજરાત વન વિભાગે સિંહોના મૃત્યુનું સાચુ કારણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વન મંત્રી ગણપતસિંહ વસાવાએ પત્રકારોને એવી માહિતી આપી કે સિંહોની સુરક્ષા માટે સરકાર પગલા લઇ રહી છે અને સાવચેતીના ભાગરૂપે 31 સિંહોને જામવાળા ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. ઘટનાક્રમ પ્રમાણે જોઇએ તો 12 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોનાં મોત થયા છે. દલખાણીયા રેન્જમાંથી તમામ સિંહોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.