કચ્છઃ રાપર તાલુકાના ગગોદરા ગામ નજીક સીમમાં 30 રાષ્ટ્રીય પક્ષી મોરના શંકાસ્પદ મોત થવાની ઘટના સામે આવી છે. ગામની સીમમાંથી 30 મોરના ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા છે. મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પક્ષી મોરના મોત પાછળનું કારણ હજુ અકબંધ છે. વનવિભાગ વેટરનરી ઓફિસર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મહત્વનું છે કે 30 મોર સહિત 40 જેટલા કબૂતરોના પણ મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાથમિક તારણ અનુસાર તમામ પક્ષીઓના મોત ચણ ખાવાથી થયા હોવાનું જણાઇ આવે છે.
આ ઘટના બનતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સમગ્ર ઘટનાની જાણ થતા અભ્યારણ્ય ઇન્ચાર્જ RFO સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન વેટરનરી ડોક્ટરે જણાવ્યું કે કોઇ વ્યક્તિએ જાણી જોઇને ઝેરી પદાર્થ ભેળવીને ચણ નાખ્યા હોવાનું સામે આવે છે. 28 મોરના ઘટનાસ્થળ પર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે મોરના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા.