ભાવેણાના ગૌરીશંકર સોસાયટી વિસ્તારમાં પાણીમાં માછલીઓ નીકળતાં ખળભળાટ. મનપા દ્વારા થતા પાણીના સપ્લાયમાં એકથી દોઢ ઇંચની માછલીઓ નળના પાણી સાથે આવતા ભારે કુતૂહલ.
ભાવેણાના નાગરીકો સાથે લાપરવાહી
'નળ સે જલ' સાથે,બોનસમાં માછલી પણ
મહા પાલિકાના તંત્રની ખૂલી પોલ
ગોહિલવાડના નામે ઓળખાતા ભાવનગરને વતનીઓ વહાલથી ભાવેણા તરીકે પણ ઓળખે છે.ભાવેણામાં કુદરતે કમાલ કરી કે, મહાનગર પાલિકાના નઘરોળ તંત્રએ, પણ ઘરના નળમાંથી એવી વસ્તુ નીકળી કે, નાગરિકોને થયું આ શું ? વિસ્મય પછી આક્રોશ પણ વ્યાપ્યો છે. ભાવનગરના ગૌરીશંકર સોસાયટી વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા વિતરિત થતા પાણી પૂરવઠામાં માછલીઓ નીકળતા નાગરીકો રોષે ભરાયા છે.
દોઢ ઇંચ લાંબી માછલી,એ પણ નળમાં
ભાવનગર મહાનગર પાલિકાનો પાણી પૂરવઠા વિભાગ જાણે આઈસ્ક્રીમ-પૂરી ખાઈને ઊંઘી ગયો હોય તેમ,પીવાના પાણીના પૂરવઠામાં પાણી કેવું આવે છે અને પીવાના પાણીની ગુણવતા કેવી છે તેની પરખ કરવાના બદલે લાંબી સોડ તાણી કૂમ્ભકર્ણની નિદ્રામાં છે. 'આપણી સરકાર, આપણો વટ'માં માનતા શાસકો નાગરિકોના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર લાપરવાહીથી વર્તી રહ્યા છે.
શહેરના ગૌરીશંકર સોસાયટી વિસ્તારમાં પાણીમાં માછલીઓ નીકળતાં ખળભળાટ મચી ગયો છે. મનપા દ્વારા થતા પાણીના સપ્લાયમાં એકથી દોઢ ઇંચની માછલીઓ નળના પાણી સાથે આવતા ભારે કુતૂહલ સર્જાયું હતું. ભાવનગર મહા નગર પાલિકા શહેરમાં ફિલ્ટર કરેલું પાણી સપ્લાય કરાતું હોવાનો દાવો કરે છે ત્યારે,આવું કઈ રીતે શક્ય બને ?
મહા પાલિકા-કામ કરતા વેઠ વધુ ?
એક તો કોરોના કાળમાં નાગરીકો બહારની ખાણી-પીણીથી પણ ડરતા હોય છે.નાગરીકો પાણી પણ ઉકાળીને પીવે છે ત્યારે, ઘરના પાણીમાં જ માછલીઓ આવી પડતા,મહાનગર પાલિકાના સ્વાસ્થ્ય અંગેની તકેદારીના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે.તો પાણી-પૂરવઠા વિભાગ પણ નિશ્ચેતન અને નિષ્પ્રાણ હોવાનું ફલિત થયું છે.