શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલ ઉમા ભવાની રેલવે ક્રોસિંગ પાસે યુવકનો મૃતદેહ છ કલાક સુધી પોલીસ હદના કારણે રઝળી પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ ગુજરાત પોલીસ સ્માર્ટ હોવાનો દાવો કરતી પોકળ સાબિત થયો છે.
અમદાવાદમાં શર્મસાર ઘટના
ચાંદખેડા નજીકથી મળેલી યુવકની લાશ 6 કલાક રઝળી
પરિવારજનોએ પોલીસ પર કર્યા આક્ષેપ
ચાંદખેડા ઉમા ભવાની રેલવે ક્રોસિંગ પાસે બપોરના સમયે પાટણ ડેમુ ટ્રેન નીચે આવી જતાં ગોવિંદભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જો કે રેલવેના અધિકારીઓ દ્વારા સાંજના 4.18 વાગ્યે આર.પી.એફ.ના જવાનોને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરતાં પરિવારજનો પર તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
છ કલાક સુધી તેમની રજૂઆત કોઈ પોલીસે ન સાંભળી
જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે, છ કલાક સુધી તેમની રજૂઆત કોઈ પોલીસે સાંભળી જ ન હતી. સાબરમતી પોલીસ ચાંદખેડા પોલીસ અને અડાલજ પોલીસ એકબીજાને હદને લઈને ખો આપી રહી હતી અને આમ છ કલાક સુધી આ મૃતદેહ રઝળતો જોવા મળ્યો હતો. અંતે સાબરમતી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.