ભુજઃ અજરખપુર ગામના બે બાળકો ગુમ થવાના મામલે ગામની સીમમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. એક બાળકી જીવતી મળી આવતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે બંને બાળકો બુધવારે ભેદી રીતે ગુમ થયા હતા.
શું છે સમગ્ર મામલો...
ભુજ તાલુકાના અજરખપુર ગામે ગઈકાલે ભેદી રીતે લાપત્તા થઈ ગયેલાં પિતરાઈ ભાઈ-બહેનના કિસ્સામાં અણધાર્યો અને અજુગતો વળાંક આવ્યો છે. ગામના સીમાડે આવેલી ઝાડીઓમાંથી સાડા ત્રણ વર્ષના લાપત્તા દાનીયાલ ઈસ્માઈલ ખત્રીનો મૃતદેહ મળ્યો છે.
તો નજીકમાંથી અઢી વર્ષની બાળકી રૂબાબા આદમ ખત્રી જીવિત પરંતુ ગંભીર હાલતમાં મળી આવી છે. રૂબાબાને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. આજે સવારે બંને બાળકોનો ઝાડીઓમાંથી પત્તો મળ્યો છે.
ઘટના અંગે જાણ થતાં ભુજ ડીવાયએસપી સહિત પોલીસની મહત્વની શાખાઓના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
દાનીયાલના મૃતદેહ પર બાહ્ય ઈજાના કોઈ નિશાન જણાતાં નથી. બંને બાળકો ગામના સીમાડે આવેલી ઝાડીમાં કેવી રીતે પહોંચ્યા અને દાનીયાલનું કેવી રીતે મોત નીપજ્યું અથવા કોણે તેની હત્યા કરી તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ બાબતે ભારે ખળભળાટ સર્જ્યો છે.