અમદાવાદ-કલોલ હાઇવે પર રખડતા ઢોરો જમાવી દે છે અડિંગો, અજાણ્યા વાહનચાલકને અડફેટે 2 ગાયોના મોત, મૃતદેહ હજુ ત્યાંને ત્યાંજ
અમદાવાદ-કલોલ હાઈવે પર રખડતા ઢોરોનો ત્રાસ
ગઇકાલે 2 ગાયને અજાણ્યા વાહન ચાલકે મારી હતી ટક્કર
હજુ ગાયના મૃતદેહ ખસેડાયા નથી
છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઘણા લોકોએ પોતાના સ્વજનને ગુમાવવાનો વારો આવ્યો છે. રોડ રસ્તા પર ઠેર ઠેર ઢોરોએ અડિંગો જમાવી દેતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણીવાર તો અકસ્માતના બનાવો પણ બને છે. ત્યારે શહેરમાં તો ઠીક પરંતુ હાઇવે પર પણ રખડતા ઢોરોએ વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
અકસ્માતમાં 2 ગાયોના મોત, મૃતદેહ ક્યારે ખસેડાશે ?
અમદાવાદ-કલોલ હાઇવે પર રખડતી ગાયોનો ત્રાસ વધી ગયો છે. હાઇવે પર મોટાભાગે વાહનો હાઇ સ્પીડમાં આવતા હોય છે તેવામાં રસ્તામાં બેઠેલા ગાયોના ટોળાને કારણે અકસ્માતના બનાવો બને છે. ઘણીવાર તો ગાયનું મોત પણ નીપજે છે. ત્યારે ગઇકાલે જ 2 ગાયનું અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મોત નીપજ્યુ. આ બનાવ બાદ અત્યાર સુધી કોઇ ગાયના મૃતદેહને ખસેડવા પણ આવ્યા નથી.
હાઇવે પર ગાયોનું ટોળુ
એક તરફ અમદાવાદ-કલોલ હાઇવે પર ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ વાહનચાલકોને પડતી અગવડતા કોઇના ધ્યાને આવતી નથી. શું રોડ ઓથોરિટીને માત્ર ટોલ ટેક્સ લેવામાં જ રસ છે. હાઇવે પર ગાયોનું ટોળુ વચ્ચોવચ બેસે છે. હાઇવે પર લોકલ સ્પીડ પર વાહનચાલકોએ વાહન હંકારવાનો વારો આવ્યો છે. ગઇકાલે બે ગાયોના મોત નીપજ્યા પરંતુ GRICL કંપનીને માત્ર ટોલ ઉઘરાવવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે.
GRICL કંપનીને માત્ર ટોલટેક્સ વસૂલવામાં રસ ?
મહત્વનું છે કે રોડ ઓથોરીટી દ્વારા જો ટેક્સ વસૂલવામાં આવે તો સુવિધા આપવાની પણ ફરજ છે. પરંતુ GRICL કંપનીના અધિકારીઓને જાણે કશી પડી જ હોય તેમ લાગી રહ્યું છે. સવાલ એ થઇ રહ્યો છે કે GRICL કંપનીની જવાબદારી નથી કે ગાયના મૃતદેહ હટાવે ? રખડતા ઢોરને કારણે હાઇવે પર અકસ્માતના બનાવો બની રહ્યા છે તેની પાછળ જવાબદાર કોણ ? મનમાન્યો ટોલ ટેક્સ લેવામાં આવે છે તો પછી કામગીરી કેમ નહી ? શું ટોલબૂથ પર બેસવાનું જ છે અધિકારીઓનુ કામ ? વાહનચાલકોને પડતી મુશ્કેલીનું કોણ લાવશે નિરાકરણ ?