થોડા દિવસો પહેલા બેંકોનું મર્જર થવાથી ઘણી બેંકોની જૂની ચેકબુકને ગ્રાહકોએ અપડેટ કરાવવી પડશે. હવે ફરીથી એક બેંકનું મર્જર થવાથી બેંકોના ગ્રાહકોની પાસે વર્તમાન ચેકબુક 28 ફેબ્રુઆરીથી નહીં ચાલે. એવામાં બેંકના ગ્રાહકો માટે આ કામની વાત છે. જો ધ્યાન નહીં રાખો તો ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે.
આ અહેવાલ ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડ અને લક્ષ્મી વિલાસ બેંકના ગ્રાહકો માટે કામની વાત છે. અહીં જણાવવાનું કે ડીબીએસ બેંક ઈન્ડિયા લિમિટેડનું લક્ષ્મી વિલાસ બેંકમાં મર્જર થયુ છે. ત્યારબાદ બધી બ્રાન્ચના આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ બદલાઇ ગયા છે. બેંક તરફથી જાહેર કરવામાં આવેલા આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ 25 ઓક્ટોબર 2021થી સક્રિય છે. જૂના IFSC કોડ 28 ફેબ્રુઆરી 2022થી બદલાઇ જશે.
1 માર્ચથી નવા IFSC કોડની જરૂર
ડીબીઆઈએલ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ બેંકના ગ્રાહકોને 1 માર્ચ, 2022થી NEFT / RTGS / IMPSના માધ્યમથી પૈસાની લેવડ-દેવડ કરવા માટે નવા આઈએફએસસી કોડની જરૂર પડશે. DBILએ તેના માટે ગ્રાહકોને લેટર મોકલી, ઈમેલ અને SMS દ્વારા શાખાઓમાં ફેરફાર અંગે સુચના પણ આપી હતી. 28 ફેબ્રુઆરી, 2022 પહેલા બધા હાલના ચેકને નવા ચેકથી બદલવા પડશે. આ તારીખ બાદ જૂના એમઆઈસીઆર કોડવાળા ચેક નહીં લઇ શકાય. નવા IFSC કોડ/MICR કોડની આખી યાદી www.lvbank.com/view-new-ifsc-details.aspx પર જોઇ શકો છો.