ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત પ્રથમ ટેસ્ટ મેચ ૧૭ ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે, જે ડે-નાઇટ ટેસ્ટ હશે.
આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમનો મોટો ઝટકો ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો છે. ઈજાને કારણે ડેવિડ વોર્નર એડિલેડમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમી શકે. વોર્નર ઈજાને કારણે અંતિમ વન ડે પહેલાં ટીમની બહાર થઈ ગયો હતો.
બીજી વન ડે દરમિયાન વોર્નરને કમરમાં દુખાવો થયો હતો
સિડની ખાતે રમાયેલી બીજી વન ડે દરમિયાન વોર્નરને કમરમાં દુખાવો થયો હતો. બાદમાં અંતિમ વન ડે અને ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીમાં તે રમી શક્યો નહોતો. વન ડે શ્રેણી તો ઓસ્ટ્રેલિયાએ ૨-૧થી જીતી લીધી, જ્યારે ટી-૨૦ શ્રેણી ૨-૧થી ભારતે પોતાના નામે કરી લીધી. જે છેલ્લી ચાર મેચમાં ઓસી.નો પરાજય થયો હતો, એ ચારેય મેચમાં વોર્નર રમ્યો નહોતો.
વોર્નરને હવે મેલબોર્નમાં રમાનાર બોક્સિંડ-ડે ટેસ્ટથી વાપસી કરવાની આશા
ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને હવે મેલબોર્નમાં રમાનાર બોક્સિંડ-ડે ટેસ્ટથી વાપસી કરવાની આશા છે. વોર્નરે જણાવ્યું, ''મેં ઓછા સમયમાં ઘણી પ્રગતિ કરી છે. ઈજામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યો છું, પરંતુ મારે મારા દિમાગ અને ટીમના સાથીઓને સંતુષ્ટ કરવા માટે સક્ષમ થવું જોઈએ.''
કાર્તિક ત્યાગીનો બાઉન્સર પુકોવસ્કીને વાગ્યોઃ બીજી પ્રેક્ટિસ મેચમાંથી બહાર
ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કરવા થનગની રહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન વિલ પુકોવસ્કીને ભારત-એ સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન હેલ્મેટ પર કાર્તિક ત્યાગીનો બાઉન્સર વાગ્યો. પુકોવસ્કી હવે ૧૧ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બીજી પ્રેક્ટિસ મેચમાં રમી નહીં શકે. વોર્નર ઈજાગ્રસ્ત હોવાથી પુકોવસ્કીનું ૧૭ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં રમવાનું નક્કી છે.
પુકોવસ્કીમાં કન્ક્શનનાં હળવાં લક્ષણ
પુકોવસ્કી ૨૩ રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ત્યાગીનો બાઉન્સર તેની હેલ્મેટ પર વાગ્યો હતો. ટીમ ડોક્ટર જોન ઓર્ચાર્ડે કહ્યું, ''પુકોવસ્કીમાં કન્ક્શનનાં હળવાં લક્ષણ છે, પરંતુ તે કોઈ સહાયતા વિના મેદાનની બહાર આવ્યો હતો. અમારા મેડિકલ રૂમમાં તેની તપાસ કરાઈ. તે સ્ટાફ, ટીમના સાથીઓ અને ફોન પર પરિવાર સાથે આરામથી વાત કરી રહ્યો હતો. તે ઓસ્ટ્રેલિયા-એ ટીમની સાથે રહેશે, પરંતુ બીજી પ્રેક્ટિસ મેચમાં રમશે નહીં.''