મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગના RBSKમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર દત્તુ રાવલે CMને રજૂઆત કરી, ઉપલા અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપે તેવો ઉલ્લેખ
મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ વિવાદમાં આવ્યું
આરોગ્ય વિભાગના કર્મચારીએ CMને લેખીત રજૂઆત કરી
માનસિક તાણમાં રહેતો કર્મચારી કોઈ પગલું ભરે તો જવાબદાર કોણ ?
મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ ફરી વિવાદમાં ઘેરાયું છે, ક્ષય વિભાગના કર્મચારીએ જીવન ટૂંકાવ્યા બાદ અન્ય કર્મચારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. માનસિક હેરાન ગતિને લઈ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારી દત્તુ રાવલએ CMને લેખીત રજૂઆત કરી છે.
ઉપલા અધિકારી દ્વારા માનસિક ત્રાસ !
RBSKમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર દત્તુ રાવલે CMને રજૂઆત કરતા મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામી છે. ઉપલા અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપે તેવો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીને અરજી કરી છે તેમજ તે કર્મચારીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું કે, ઉપલા અધિકારી દ્વારા મને માનસિક હેરાન કરાય છે, ખરાબ પગલા લેવાના વિચાર આવે છે. અગાઉ ક્ષય વિભાગના કર્મચારીએ આપઘાત કર્યો હતો જેમનું કારણ પણ માનસિક તણાવ જ હતું તેવો પણ તેમણે આક્ષેપ કર્યો છે.
જુઓ અરજી
CMને અરજી કરી
CMને અરજી કરતા પહેલા દત્તું રાવલે મહીસાગર આરોગ્ય વિભાગમાં પણ અરજી કરી હતી તેમજ જેનાથી કંઈ પણ ઉકેલ આવ્યો નથી તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીને અરજી કરી છે જો યોગ્ય પગલા લેવામાં નહી આવે તો તે કંઈ પણ પગલું ભરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, ક્ષય કેન્દ્રના એક કર્મચારીએ હેરાનગતિના કારણે જીવન ટૂંકાવ્યું હતું. અત્રે તમને જણાવી દઈએ કે, વધુ એક કર્મચારીની અરજી સામે આવતા મહીસાગરમાં ખળભળાટ મચી જવા પામી છે. CMને અરજી કર્યાં બાદ કોઈ પ્રતિ-ઉત્તર ન મળતા કર્મચારી મીડિયા સમક્ષ આવ્યા હતો. સતત માનસિક તાણમાં રહેતા આરોગ્ય કર્મચારી કોઈ પગલું ભરે તો જવાબદાર કોણ ? તે પણ એક મોટો સવાલ છે. આરોગ્ય વિભાગના ક્યા અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.