વર્ષ 2018માં બહાર પડાયેલી 334 જેટલી ખાલી જગ્યાઓ માટે વનરક્ષકની ભરતી આગામી 27 માર્ચ 2022ના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાશે
વનરક્ષકની ભરતી પરીક્ષા 27 માર્ચના રોજ યોજાશે
વર્ગ-3ના કર્મચારીઓની ભરતી માટે પરીક્ષા યોજાશે
વનવિભાગ દ્વારા 27 માર્ચ 2022ના રોજ લેવામાં આવશે પરીક્ષા
વનવિભાગ દ્વારા વનરક્ષકની ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. વર્ગ-3ના કર્મચારીઓની વન રક્ષકની ભરતી 27 માર્ચ 2022ના રોજ લેવાશે.વર્ષ 2018થી આ ભરતી પણ વિવિધ કારણોસર ગોથે ચડી હતી. મહત્વનું છે કે 334 જેટલી ખાલી જગ્યાઓ માટે આ ભરતી યોજવા જઈ રહી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાશે પરીક્ષાનું આયોજન
વન રક્ષકની ભરતીની જાહેરાતનો મામલે વધુ એક સમાચાર મળી રહ્યા છે કે આ વખત વનરક્ષક પરીક્ષાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવી છે. પહેલા સમગ્ર પ્રક્રિયા ગૌણ સેવા પસંદગી મંડળ કરતું હતું પણ પેપર લીકની ઘટનાઓ બાદ ગુજરાત યુનિવર્સિટીને જવાબદારી સોંપવામાં આવી છે.
334 જગ્યાઓ માટે હાથ ધરાશે પ્રક્રિયા
ગઈકાલે રાજ્ય સરકારના વનમંત્રી કિરીટસિંહ રાણાએ પત્રકાર પરિષદને આજે સંબોધન કરતા કહ્યું હતું કે, નવી ભરતીઓને લઈને ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ વનમંત્રીએ જણાવ્યું હતું કે, વધુ લાંબો સમય નહીં લેવામાં આવે. ટૂંક સમયમાં જ વન રક્ષકની 334 જગ્યાઓ માટેની સીધી ભરતી પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવશે.ત્યારે આજે ભરતી પરીક્ષાની તારીખ જાહેર થતાં લાંબા સમયથી આ ભરતીની રાહ જોતાં ઉમેદવારોમાં ખુશીની લાગણી છવાઈ છે.
૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન અરજી કરનાર ઉમેદવારોની અરજી પણ ગણાશે માન્ય
વનરક્ષક વર્ગ-૩ ની કુલ-૩૩૪ સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા યુવાનોના હિતમાં નિર્ણય લઇને આ મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા 27 માર્ચના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે.