શ્રાવણ માસ નિમિતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી AMTS બસ મારફતે અમદાવાદ અને ગાંધીનગર કુલ 23 જેટલા ધાર્મિક સ્થળો પર દર્શન પ્રવાસનું આયોજન કરાયું છે.
શ્રાવણ માસને પગલે AMTS દ્વારા ધાર્મિક યાત્રા
કુલ 23 જેટલા ધાર્મિક સ્થળો પર દર્શન કરાવશે
ટિકિટ 60 રૂપિયા અને બાળકો માટે 30 રૂપિયા નક્કી કરાયા
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભની સાથે જ શિવાલયોમાં દર્શનાર્થીઑની ભારે ભીડ જામતી હોય છે. ત્યારે શ્રાવણ માસની શરૂઆતને પગલે AMTS દ્વારા ધાર્મિક યાત્રા યોજના શરૂ કરવામાં આવી છે. જેને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS બસની અમદાવાદ અને ગાંધીનગર કુલ 23 જેટલા ધાર્મિક સ્થળો પર દર્શન કરાવશે. જેમાં ટિકિટ દર પણ ઘટાડવામાં આવ્યો છે. જેમાં પુખ્ત વયના લોકો માટે ટિકિટ 60 રૂપિયા અને બાળકો માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે પણ મહિલાઓ માટે મનપસંદ ટિકિટ યોજનામાં માત્ર 10 રૂપિયામાં મહિલાઓ મુસાફરી કરી શકશે. બાળકોની પાંચ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.
8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી પ્રવાસનું આયોજન
પ્રવાસ માટે સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. વધુમા આ યોજનાનો લાભ લેવા માટે લોકોએ લાલાદરવાજા, વાડજ, મણિનગર અને સારંગપુર ખાતે જવાનું રહેશે. ઇચ્છુક પ્રવાસીઑ જે સ્થળે નિશ્ચિત કરે ત્યાં બસ ઉપલબ્ધ કરવા અંગેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લાલદરવાજા, મણિનગર, સારંગપુર અને વાડજ ટર્મિનસથી બસ હાજર રખાશે. મહત્વનું છે કે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મંદિરોના રૂટ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પુર્વમાં બે અને પશ્ચિમમાં બે તેમજ એક જનરલ રૂટ છે. જે પણ રૂટ ઉપર પ્રવાસીઓ નક્કી કરે તે રૂટ પર દર્શનનો લાભ આપશે. જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.