આખરે અફઘાનિસ્તાન ફરીથી એક એવા અંધકારમય યુગમાં પ્રવેશ્યું છે, જેમાં બરબાદી, તબાહી અને અરાજકતા સિવાય બીજું કશું દૂર દૂર સુધી નજરે પડતું નથી. આ દેશના તાલિબાનોએ જે રીતે અફઘાની શાસનની સેનાઓને એક એક કરીને તમામ રાજ્યો અને શાસકીય સંસ્થાઓથી બેદખલ કરી છે. તેનાથી દુનિયાના મોટાભાગના દેશ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સત્તા આવી
અફઘાનિસ્તાન અંધકારમય યુગમાં પ્રવેશ્યું
અમેરિકાની સેનાએ અફઘાનને શું આપ્યું?
અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાનને શું આપ્યું?
સૌથી મોટી ચિંતાનો વિષય ભારત માટે છે, કારણ કે તાલિબાનીઓને સતત પાકિસ્તાનનું સમર્થન મળતું રહ્યું છે અને પાકિસ્તાનના સત્તાધીશો તેમને કાયદેસરતા મળે તે માટે શક્ય તમામ પ્રયત્નો કરતા રહે છે. અહીં એક સવાલ એ પણ ઊભો થાય છે કે, 18 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે મુકાબલો કર્યા બાદ અમેરિકાની સેનાએ આ દેશને શું આપ્યું? ૨૦૧૨ની આસપાસ અમેરિકાએ સારા (ગુડ) અને ખરાબ (બેડ) તાલિબાનોની બોગસ થિયરી રજૂ કરીને દોહામાં તાલિબાનોને પોતાના કાર્યાલય સ્થાપિત કરવા દીધાં હતાં અને ત્યારબાદ ૨૦૧૮માં તાલિબાનો સાથે સીધી વાતચીત કરવા માટે તેમને માન્યતા આપવાની પણ શરૂ કરી હતી. એ પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના વાપસી માટે તાલિબાનો સાથે જ સંધિ કરી લીધી. જે સમગ્ર વિશ્વ માટે ચોંકાવનારો ઘટનાક્રમ હતો. આ આખી પ્રક્રિયામાં સૌથી મોટું નુકસાન અફઘાની નાગરિકોનું જ થયું છે. કેમ કે આ દરમિયાન નાગરિક અધિકારોના ક્ષેત્રમાં તેમણે જે કંઈ મેળવ્યું હતું તે હવે સમાપ્ત થઈ ચૂક્યું છે.
આતંકવાદને ફેલાવવામાં તાલિબાનોની મહત્વની ભૂમિકા
આપણે એ ભૂલવું ના જોઈએ કે આ એ જ માથાભારે તાલિબાન છે જેમણે ૨૦૦૦માં પોતાની સત્તા આવી તે પહેલાં જ અફઘાનિસ્તાનના ઈસ્લામીકરણના નામ પર આ દેશમાં સ્થિત એશિયાની મહાન સાંસ્કૃતિક ધરોહરોને નેસ્તનાબૂદ કરી નાખી હતી. શરિયા કાનૂન લાદીને આ સુંદર દેશની સદીઓ જૂની વિવિધતાને નષ્ટ કરવામાં કોઈ કસર છોડી ન હતી. સમગ્ર વિશ્વમાં આતંકવાદને ફેલાવવામાં પણ આ તાલિબાનોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સત્તા ભારત માટે ખતરનાક?
પાક. અધિકૃત કાશ્મીર (પીઓકે)ના નોર્ધન એરિયાથી ભારતની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે, જેનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પુરજોશમાં ફેલાવ્યો છે. આ માટે ભારતે હવે પોતાની રણનીતિ એ પ્રકારે ઘડવી પડશે કે તેના પર અફઘાનિસ્તાનના ઘટનાક્રમની ઓછામાં ઓછી અસર થાય. સામાન્ય અફઘાની નાગરિકો વચ્ચે ભારતીય નાગરિકોને સન્માન મળે એ વાત તાલિબાનો ક્યારેય સહન કરી શકશે નહીં. જડ પ્રકૃતિના તાલિબાનો હંમેશાં મઝહબનાં ચશ્માં પહેરીને વિભિન્ન દેશો સાથે પોતાના સંબંધો નક્કી કરતા આવ્યાં છે અને આ વાત ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
ભારતે અફઘાનિસ્તાનની પરિયોજનાઓમાં ઘણો ખર્ચ કર્યો
ભારતે અફઘાનિસ્તાનના સંસદ ભવન, સલમા ડેમ અને જરાંજ-દેલારામ હાઈવે જેવી પરિયોજનાઓમાં ઘણો ખર્ચ કર્યો છે. આ પ્રકારની મોટી મદદને તાલિબાન સંપૂર્ણપણે બરબાદ કરી દેશે એવું હાલના તબક્કે તો લાગતું નથી. આનાથી અલગ નાના સ્કેલ પર ભારતે જે મદદ કરી છે એના વિશે કંઈ કહી શકાય એમ નથી, પરંતુ એવી આશા રાખવામાં આવે કે આ તમામ તાલિબાનના આવ્યા પછી પણ અફઘાનિસ્તાનના લોકોના કામમાં આવશે. તાલિબાનના સત્તામાં આવ્યાં બાદ અફઘાનિસ્તાનમાં ચીન અને પાકિસ્તાનની દખલ વધશે. આ બંને દેશો અફઘાનિસ્તાનમાં ભારતની દખલ જેટલી શક્ય હોય એટલી ઓછી કરવા પ્રયત્નો કરશે.
તાલિબાનીઓ ફરીથી જૂની રૂઢિવાદી નીતિઓ અમલી બનાવશે
અમેરિકાએ જે રીતે અફઘાનિસ્તાનને અધવચ્ચે એકલું છોડી દીધું છે તેનાથી અન્ય શાંતિપ્રિય દેશોનું મનોબળ નિશ્ચિતરૂપે ડગમગી ગયું છે. આ કારણે જ ચીન આ અવસરનો પૂરો લાભ ઉઠાવવા સક્રિય બની ગયું છે. અત્યાર સુધી જે સંકેતો મળ્યા છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે તાલિબાન પોતાનું શાસન આવ્યા સાથે ફરીથી જૂની રૂઢિવાદી નીતિઓ જ અમલી બનાવશે અને અફઘાની નાગરિકો, ખાસ કરીને મહિલાઓ પર ફરી જુલ્મો થશે જ. ભારતીય ઉપમહાદ્વીપમાં આ સ્થિતિ ક્ષેત્રિય સ્થિરતા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, કેમ કે પોતાના નાગરિક અધિકારો માટે આ દેશના લોકો સંઘર્ષને જીવંત રાખવા સભ્ય દેશોનું સમર્થન માગશે જ અને આ તબક્કે ભારતે નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે.