દાનિશ કનેરિયા પર વર્ષ 2013માં સ્પૉટ ફિક્સિંગના આરોપ લાગ્યા હતા. જેમાં તેને દોષી ઠેરવવામાં આવ્યો. દાનિશ કનેરિયાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે પાકિસ્તાનના કેપ્ટન આફ્રિદીએ તેની વિરુદ્ધ હિન્દુ હોવાના કારણે ષડયંત્ર રચ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શોએબ અખ્તરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે હિન્દુ હોવાના કારણે પાકિસ્તાન ટીમે દાનિશ કનેરિયાની સાથે અન્યાય કર્યો હતો. કનેરિયાએ IANS સાથેની વાતચીતમાં કહ્યું, શોએબ અખ્તર જાહેરમાં મારી સમસ્યા અંગે વાત કરનારા પ્રથમ વ્યક્તિ હતા. શોએબે પોતાના નિવેદનમાં કહ્યું હતુ કે હિન્દુ હોવાના કારણે દાનિશની સાથે ટીમમાં ગેરવર્તન થયુ.
શાહિદ ઈચ્છતા નહોતા કે હું ટીમમાં રહૂ- દાનિશ કનેરિયા
દાનિશ વધુમાં કહે છે કે બાદમાં ઘણા અધિકારીઓએ તેના પર દબાણ નાખ્યા બાદ શોએબે મારી સાથે થયેલા ભેદભાવ પર વાત કરવાનુ બંધ કર્યુ. પરંતુ આ મારી સાથે થયુ. શાહિદ આફ્રિદીએ હંમેશા મને નીચે બતાવ્યો છે. અમે એક જ ટીમ માટે એકસાથે રમતા હતા. જ્યાં તેઓ વારંવાર મને બેન્ચ પર બેસાડતા હતા અને વન-ડે ટુર્નામેન્ટ નહોતા રમવા દેતા. દાનિશ કનેરિયાએ IANSને જણાવ્યું, શાહીદ ક્યારેય ઈચ્છતા નહોતા કે હું ટીમમાં રહૂ. તેઓ ખોટા વ્યક્તિ છે. જો કે, મારું ધ્યાન માત્ર ક્રિકેટ પર હતુ અને હું બધી બાબતોની અવગણના કરતો હતો. તે શાહિદ આફ્રિદી જ હતા. જે અન્ય ખેલાડીઓની પાસે જતા અને તેમને મારા વિરુદ્ધ ભડકાવતા હતા. હું સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને તેનાથી તેમને બળતરા થતી હતી. મને ગર્વ છે કે હું પાકિસ્તાન માટે રમ્યો. હું તેના માટે પીસીબીનો આભારી છુ.