ગીર સોમનાથ જિલ્લામાં સર્વે દરમિયાન સામે આવ્યું કે, કુલ 75 હજાર ખેત વાવેતર વિસ્તારમાંથી વાવાઝોડામાં 45 હજાર હેકટર જેટલો ખેત અને બાગાયતી પાકના હેકટરમાં નુકસાન નોંધાયું
તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક જિલ્લામાં મોટું નુકસાન
ગીર સોમનાથ જિલ્લામાં નુકસાન બાદ સર્વેની કામગીરી પૂર્ણ
45 હજાર હેક્ટર વિસ્તારમાં તૌકતેના કારણે પાકને થયું નુકસાન
ગીર સોમનાથ જિલ્લાના કુલ 75 હજાર હેક્ટર ખેતીની જમીનમાંથી 45 હજાર હેકટર વિસ્તાર તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયો હોવાની માહિતી સર્વેમાં સામે આવી છે. તૌકતે વાવાઝોડાથી ખેડૂતોના બાગાયતી અને ખેતીના અન્ય પાકોને નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ દરિયાકાંઠાના ઊના, ગીર ગઢડા અને કોડીનારના કેટલાક ગામમાં બાગાયતી પાકોના ઝાડ ધરાશાયી થયા છે. વાવાઝોડાને કારણે મોટું નુકસાન ખેડૂતોના માથે આવ્યું છે. ત્યારે જેના માટે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. અને તેની સાથે સર્વેની પણ કામગીરી કરવાની શરૂ થઈ ગઈ હતી. સર્વેની કામગીરી હવે પૂરી થઈ ગઈ છે.
ગીર સોમનાથ જિલ્લામાં કુલ 75 હજાર ખેત વાવેતર વિસ્તાર છે. તેમાં ખેતીના પાકો તેમજ બાગાયતી પાકનું વાવેતર થયેલ હતું. વાવાઝોડામાં જિલ્લાનો 45 હજાર હેકટર જેટલો ખેત અને બાગાયતી હેકટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. અને 48000 જેટલા ખેડૂતોના બાગ-બગીચા વાડીની મુલાકાત લઇ નુકસાન અંગેનો સર્વે કરવામાં આવ્યો છે. પ્રાથમિક આંકલન કરી સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈ અને નુકસાનીની ટકાવારી મુજબ અને નિયત કરાયેલી વ્યવસ્થા -નિયમો મુજબ લાભાર્થી ખેડૂતોને રાહતોનો લાભ આપવા માટે રાહત પેકેજની જોગવાઈ મુજબ મદદ કરવા માટે પ્રાથમિક અંદાજિત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી ગણતરીના દિવસોમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા અંતર્ગત ખેડૂતો માટે રૂપિયા 500 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું. તેના લાભો ખેડૂતો સુધી યુદ્ધના ધોરણે પહોંચે તે માટે સમગ્ર ખેતીવાડી વિભાગ સ્થાનિક પ્રશાસનના સંકલનથી રાત દિવસ કામ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ખેતીવાડી અધિકારી અને સંયુક્ત નિયામક, નાયબ બાગાયત નિયામક સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં સર્વેની તાત્કાલિક કામગીરી માટે કુલ-175 કર્મચારીઓ, સ્થાનિક જિલ્લાના તેમજ અન્ય જિલ્લામાંથી ડેપ્યુટ કરીને સર્વે પૂર્ણ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં સર્વે કરતા અધિકારીઓએ જણાવ્યું કે, બાગાયતી ફળાઉ ઝાડ પડી જવાની નુકસાની ખાસ કરીને ઉના અને ગીર ગઢડામાં વધારે જોવા મળી છે. કોડીનારના કેટલાક ગામમાં પણ છે. તેમજ તાલાલા અને જિલ્લાના અન્ય વિસ્તારમાં આંબાના ઝાડ પરથી કેસર કેરીનો પાક ખરી ગયાનું જોવા મળ્યું છે.