ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા-સાબરકાંઠામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે આગામી 24 કલાક ગુજરાત માટે અતિભારે છે.
ગુજરાતમાં જળસંકટ
20થી વધુ જિલ્લામાં જળબંબાકાર
ડેમ થયા ઓવરફ્લૉ
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી સારો એવો વરસાદ પડશે. આગામી 24 કલાક ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. જ્યારે ઉતર ગુજરાત માટે આગામી 24 કલાક અતિ ભારે છે.એ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે 18 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે પરંતુ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે.
નર્મદા ડેમના 23 ગેટ ખોલાયા
નર્મદા ડેમના ઉપરવાસના જળાશયોમાંથી નર્મદા ડેમમાં સરેરાશ 5,93,749 લાખ ક્યુસેકથી પણ વધુ પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી 134.32 મીટરે પહોંચી છે. વધુ માત્રામાં પાણી ની અવાકને પગલે નર્મદા ડેમના 23 ગેટ 3.25 મીટર સુધી ખોલીને નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઈ રહ્યો છે. સાથે રિવરબેડ પાવર હાઉસ 44,462 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા નર્મદા નદીમાં 5,44,462 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા.
વાસણા બેરેજના પણ 7 દરવાજાઓ ખુલાયા
બીજી બાજુ ગુજરાતમાં જળાશયો અને ડેમની સ્થિતિની જો વાત કરીએ તો ધરોઈ ડેમના દરવાજાઓ ખોલી દેવાતા સાબરમતીનું જળસ્તર વધ્યું છે. આ સાથે વાસણા બેરેજના પણ 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે સાબરમતી નદીમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સંત સરોવર ડેમમાંથી 15000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
ગુજરાતના મોટા ભાગના ડેમ ઓવરફ્લો
છોટા ઉદેપુરનો રામી ડેમ પણ ઓવરફ્લો થયો છે. રામી ડેમની જળસપાટી 196.64 મીટરે પહોંચી છે. મહીસાગરના કડાણા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. મહીસાગરના કડાણા ડેમમાં 49 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. તો વેણુ-2 ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. આ સાથે રાજકોટ અને જેતપુરની જીવાદોરી સમાન ભાદર 1-ડેમમાં પાણીની આવક વધી છે. ભાદર ડેમમાં 4 હજાર 500 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે.નર્મદા જિલ્લામાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 4 ઈંચ વરસાદ થયો છે. જેને કારણે કરજણ ડેમના જળસ્તરમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે કરજણમાં 35 હજાર 709 ક્યૂસેક પાણીની આવક થઇ છે. સાથે ડેમની સપાટી 109.55 મીટર નોંધાઈ છે. જેથી ડેમના 4 દરવાજા ખોલી 21 હજાર 967 ક્યૂસેક પાણી નદીમાં છોડાયું છે. આ પાણી છોડ્યા પહેલા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.