વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં એક સનીસનીખેજ ઘટના સામે આવી. મહારાષ્ટ્રની હદમાંથી ગુજરાતમાં પ્રવેશેલી એક કાર નીચે મૃતદેહ ફસાયો હોવાની ઘટના સામે આવી. આ કાર જ્યારે રેલવે ફાટક પાસે ઉભી રહી ત્યારે સ્થાનિકોનું ધ્યાન કારની નીચે જતા જોવા મળ્યું કે કારની નીચે મૃતદેહ ફસાયો છે.
કારની નીચે અડધો મૃતદેહ ફસાયો હોવાનું સામે આવતા સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી તો સામે આવ્યું કે મહારાષ્ટ્રમાંથી આ કાર ગુજરાતમાં આવી હતી અને સ્ટુડિયોમાં કામ કરતા કર્મચારીઓને મૂકવા માટે કાર ગુજરાતના સંજાણમાં આવી હતી.
અજાણી વ્યક્તિનો મૃતદેહનો અડધો ભાગ જ કાર નીચે હતો અને મૃતદેહનો અન્ય ભાગ ગાયબ હતો. પોલીસે કારચાલકની પૂછપરછ કરતા તપાસમાં એવું પણ સામે આવ્યું કે કારચાલક આ મામલે અજાણ હતો. મૃતદેહ કેવી રીતે કાર નીચે ફસાયો તે અંગે તે અજાણ હતો.
બાદમાં પોલીસે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કર્યો તો હકીકત સામે આવી કે મહારાષ્ટ્રની હદમાં તલાસરી નજીક એક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલી વ્યક્તિનો મૃતદેહ કોઈ કારણોસર આ કાર નીચે ફસાયો હતો. તો ઘટના બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.