પૃથ્વીના દક્ષિણી બર્ફીલા છેડા એન્ટાર્કટીકા ખંડમાં 1634 ચોરસ કિમી એટલે કે રાજકોટ શહેર કરતા ૧૦ ગણો વધુ વિસ્તાર ધરાવતી હિમશીલા ઓગળવાના કારણે ઢીલી થઇ ગઈ હતી જે ગઈ કાલે તેના હિમ પહાડથી છૂટી પડીને દરિયામાં ખાબકી હતી. આ ઘટનાએ વૈજ્ઞાનિકોમાં તેની પાછળના કારણ માટે ચર્ચા જગાવી હતી.
D28 નામની એક તોતિંગ હિમશીલા એન્ટાર્કટીકા ખંડમાંથી તેના હિમપહાડમાંથી ઓગળીને છૂટી પડી છે.
તેનું હુલામણું નામ “લૂઝ ટુથ” છે.
વૈજ્ઞાનિકો આ ઘટના ૨૦૧૦ ૨૦૧૫ની વચ્ચે થશે તેવી આગાહી કરતા હતા
નિષ્ણાતોના મતે આ ઘટનાને ક્લાઈમેટ ચેન્જ સાથે સંબંધ નથી
યુરોપીયન યુનિયન અર્થ ઓબ્ઝરવેશન પ્રોગ્રામે આ હિમશીલાને અમેરી નામના હિમપહાડથી ઓગળીને છૂટો પડતા નોંધ્યો હતો. લુઝ ટુથના હુલામણા નામે જાણીતી આ હિમશીલા
૧૬૩૪ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે.
૬૮૮ ફૂટની જાડાઈ ધરાવે છે.
૩૪૭ અબજ ટન બરફ ધરાવે છે.
આ હિમશીલાને અમેરી નામના હિમપહાડનો ભાગ હતી. આ હિમપહાડ એન્ટાર્કટીકા ખંડનો ત્રીજો સૌથી મોટો હિમપહાડ છે.
શું આ ઘટના ક્લાઈમેટ ચેન્જને કારણે થઇ છે?
કેટલાક વૈજ્ઞાનિકો આ ઘટનાને ક્લાઈમેટ ચેન્જ સાથે સાંકળે છે જયારે નિષ્ણાતોએ આ ઘટનાને ક્લાઈમેટ ચેન્જનો ભાગ ન ગણાવીને તેને કુદરતી ઘટના ગણાવે છે. તેમના મતે જમા થયેલો હિમ થોડા થોડા સમયે ઓગળે છે જેથી બીજો હિમ જામવા માટે જગ્યા થઇ શકે.
૨૦૦૨થી આગાહી થઇ ચુકી હતી
સ્ક્રીપ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશનોગ્રાફીના પ્રોફેસર હેલન ફ્રીકરે આ ઘટનાની ૨૦૦૨થી આગાહી કરી હતી અને આ ઘટના ૨૦૧૦થી ૨૦૧૫ની વચ્ચે થશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આ હિમશીલાના પાયા પહેલેથી જ પીગળવાના કારણે ઢીલા થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આ હિમશીલા પ્રમાણમાં નાની હોવા છતાં આ દરિયાઈ માર્ગથી પસાર થતી તમામ સ્ટીમરોને ચેતવણી આપી દેવાઈ છે. આ વિસ્તારમાં હિમશીલા તુટવાથી બરફણી સપાટી અને દરિયાના પાણીની સપાટીના પૃષ્ઠતાણ બળમાં ભારે ફેરફાર થયો છે.
નામકરણ કેવી રીતે કરવામાં આવે છે?
આ હિમશીલાનું નામ D28 છે. આ નામ હિમશીલાઓના સ્થળના અક્ષાંશ રેખાંશ ઉપરથી નક્કી કરવામાં આવે છે. D રેખાંશ એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની પૂર્વમાં આવેલો છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે છૂટો પડી ગયેલી આ હિમશીલાને સંપૂર્ણ પણે ઓગળતા હજી વર્ષો લાગી જશે.