'મહા' વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે 7 નવેમ્બર ટકરાશે. જેની અસર કાંઠા વિસ્તારમાં દ્વારકાથી લઈને દીવ સુધી જોવા મળશે. વાવાઝોડું નબળું પડી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના દરિયા કિનારે તો ટકરાશે જ.
'મહા' વાવાઝોડું
હવામાન વિભાગનું મોટું નિવેદન
વાવાઝોડું નબળું પડશે પરંતુ ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે જરૂર
જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વાવાઝોડાને પગલે કલાકના 80 થી 90 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડાને લઈને તંત્રને પણ અલર્ટ કરી દેવામાં આવ્યું છે. સાથે-સાથે સુરક્ષા ટીમોને પણ દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ લોકોને દરિયાકાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.
CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક
મહા વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. હાલમાં વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ પર સીએમ રૂપાણી નજર રાખી રહ્યા છે.
NDRFના અધિકારીઓ સાથે કરી ચર્ચા
સીએમ રૂપાણી આજે ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાત બાદ NDRFના અધિકારીઓ સાથે બેઠક કરશે. સીએમ રૂપાણી તંત્રની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. સ્થાનિકોના સ્થળાંતરણ અંગે બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
મહેસૂલ સચિવનું નિવેદન
ગાંધીનગરમાં મહા વાવાઝોડને લઈને ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ તંત્રની સજ્જતા-સતર્કતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકને અંતે રાજ્યના મહેસૂલ સચિવે નિવેદન આપ્યું હતું કે, નાગરિકોને ભયભીત થવાની જરૂર નથી. હજી 15 NDRF ટીમ છે વધુ 15 ટીમ આવશે.
વાવાઝોડા અંગે જણાવ્યું હતું કે, કલાકના 80 થી 90 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું અમદાવાદ-વડોદરા-આણંદમાં વરસાદની સંભાવના છે અને સરકાર દ્વારા આગોતરી તૈયારીથી સંપૂર્ણ કરી દેવામાં આવી છે.
ચીફ સચિવ જે.એન.સિંહે આપ્યું નિવેદન
મહા વાવાઝોડું 7 નવેમ્બરે ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી શક્યતા છે. વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
આ બેઠક બાદ ચીફ સચિવ જે.એન.સિંહે પ્રતિક્રિયા આપી હતી કે, સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સરકારની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.. વાવાઝોડાના તમામ માહિતી કેન્દ્ર સરકારને આપવામાં આવશે. વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી કેન્દ્ર સરકારને માહિતી આપવામાં આવી રહી છે.
દીવથી દ્વારકા સુધી વાવાઝોડાની અસર જોવા મળે તેવી શક્યતા છે.. જેને લઈને તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં જવાથી રોકવામાં આવ્યા છે. સાથે જ સંભાવિત અસરગ્રસ્ત વિસ્તારમાં SDRFની ટીમ પણ મોકલાઈ છે અને સ્થળાંતર કરવા માટે પણ તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે.
'મહા' વાવાઝોડાંની અસર ભાવનગર જિલ્લાના બંદર પર પણ જોવા મળી શકે છે. જેના પગલે તંત્ર દ્વારા ઘોઘા, ન્યૂ પોર્ટ, અલંગ, મહુવા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જો કે હાલમાં ભાવનગરનો દરિયો ઓટની સ્થિતિના કારણે શાંત થયો છે. જો કે 'મહા' વાવાઝોડાંના કારણે જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવારણ જોવા મળી રહ્યું છે.
પોરબંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત્
'મહા' વાવાઝોડાને લઈને રાજયભરમાં તંત્ર એલર્ટ પર છે. ત્યારે આજે પોરબંદરમાં પણ 'મહા' વાવાઝોડાને લઈને 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. ત્યારે વાવાઝોડાંને લઈને માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપી દેવામાં આવી છે. માછીમારી માટે ગયેલી તમામ બોટ પરત ફરી છે.