વાવાઝોડાએ વેરાવળ અને દીવના બદલે હવે પોરબંદર અને દ્વારકા તરફ આગળ વધ્યું છે. જોકે દિશા બદલી છે પરંતુ તીવ્રતા વધી છે. આજરોજ સાંજે 5 કલાકે હવામાન વિભાગે આ ઘટના અંગેની જાણકારી આપી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે નહીં પણ બપોરે ત્રાટકે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતના તમામ સંવેદનશીલ બંદરો પર સ્થળો પર 9 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
રાજ્યના સંવેદનશીલ બંદર પર લાગ્યું સિગ્નલ નં-9
ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાની દહેશતને લઈને રાજ્યના તમામ દરિયાકાંઠાના જિલ્લામાં 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. આ પહેલા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતુ. જેને ઉતારીને 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.
મળતી માહિતી મુજબ વાવાઝોડાની ભયાનકતા દર્શાવવા માટે 9 નંબરના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે જ્યારે દરિયાનું પાણી કિનારાને ક્રોસ કરે છે. ત્યારે 9 નંબરનું સિગ્નલ લગાવાય છે. તેમજ ચક્રવાત જ્યારે બંદરની જમણી બાજુથી પસાર થાય ત્યારે 9 નંબરનું સિગ્નલ લાગે છે.
આપને જણાવી દઇએ કે, 120 પ્રતિ કિલોમીટરના વેગથી વધુ પવન ફુંકાય ત્યારે આ સિગ્નલ લાગે છે. મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આવતી કાલે બપોરે પોરબંદર-વેરાવળ વચ્ચે વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. આ વાયુ વાવાઝોડુ 150 થી 160 કીમી પ્રતિ કલાકની ઝડપે જમીન પર આવશે.
બંદર ઉપર લગવામાં આવેલ સિગ્નલ શું સૂચવે છે
1 નંબરનું સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપતું હોય છે.
2 નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થતાં માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે તે સૂચિત કરે છે
3 નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે.
4 નંબરનું સિગ્નલ બંદર ભયમાં છે એવું પરંતુ સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય જણાઇ રહ્યો નથી.
5 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું દક્ષિણના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત આપે છે.
6 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું ઉત્તરના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે.
7 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું બંદર ઉપરથી પસાર થાય અને ભારે તોફાની પવન ચાલી શકે છે.
8 નંબરનું સિગ્નલ ભારે વાવાઝોડું બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેતો આપે છે.
9 નંબરનું સિગ્નલ જોરદાર વાવાઝોડું ઉત્તર દિશાથી કિનારો ક્રોસ કરીને બંદર ઉપર તોફાની હવાનો અનુભવ કરાવે ત્યારે લગાડવામાં આવે છે
10-નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે
11-નંબરનું સિગ્નલ ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.