વાયુ વાવાઝોડાની ગુજરાતમાંથી અસર ઘટી છે. ત્યારે આ મામલે હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે સવારે પ્રતિક્રિયા આપી હતી કે, વાયુ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી આગળ વધ્યુ છે. હાલમાં તેની તીવ્રતામાં પણ ઘટાડો થયો છે. જે પોરબંદરથી 130 કિમી, વેરાવળથી 185 કિમી અને દીવથી 250 કિમી દૂર છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, વાવાઝોડાની હજી પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં અસર જોવા મળશે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી પણ જયંત સરકારે કરી છે.
હિરણ નદીમાં પૂર:
વાયુ વાવાઝોડાની દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે અસર થઇ છે. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ગીર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને લઈને હિરણ નદીમાં પૂર આવ્યું છે. પૂરના કારણે વેરાવળ તાલાલા રોડનો વાહન વ્યવહાર ખોરવાયો છે.
સૌરાષ્ટ્રના 54 જેટલા તાલુકાઓમાં વરસાદ:
સવારથી સૌરાષ્ટ્રના 54 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ આવતા અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. બે વાગ્યા સુધી વેરાવળમાં 2 ઈંચ, સૂત્રાપાડા 2 ઈંચ, તલાલા 2 ઈંચ અને સાવરકુંડલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભેસાણ, ખાંભા, કુતિયાણા, ભાવનગર અને માળિયામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, બાબરા, મેંદરડા, અમરેલીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં 8 ઈંચ વરસાદ:
છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે તાલાળા તાલુકામાં સાડા છ ઇંચ, સુત્રાપાડા તાલુકામાં છ ઇંચ, વેરાવળમાં 60 મી.મી. કોડીનારમાં 48 મી.મી., ગીર ગઢડામાં 30૦ મી.મી. અને ઉનામાં 22 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના વંથલીમાં 86 મી.મી., મેંદરડામાં 72 મી.મી, માળીયામાં 69 મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં 45 મી.મી., માંગરોળમાં 37 મી.મી., કેશોદમાં 32 મી.મી., વિસાવદરમાં 24 મી.મી., ભેંસાણમાં 20 મી.મી., માણાવદરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો છે.