વાયુ વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલી છે જેને લઇ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, વાયુ વાવાઝોડું હાલ પોરબંદરથી 260 કિમી દૂર છે. જો કે વાવાઝોડું કચ્છ સુધી પહોંચે ત્યા સુધી ડિપ્રેશનમાં ફેરવાઇ જશે જો કે કચ્છમાં બે દિવસ વરસાદ રહેશે અને ઉત્તર ગુજરાતમાં પણ બે દિવસમાં વરસાદની આગાહી કરાઇ છે.
તો આજે પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદ આવી શકે છે. વાવાઝોડાની અસર કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારામાં વધુ જોવા મળશે. જો કે વાવાઝોડું દરિયામાં જ વિખેરાય જાય તેવી પણ શક્યતા છે. તો વાયુ વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
જો કે આ પહેલાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 48 કલાક પછી વાયુ વાવાઝોડું ફરી કચ્છના સમુદ્ર કિનારે પહોંચી શકે છે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂનની વચ્ચે ગમે ત્યારે કચ્છના દરિયા કિનારે પહોચી શકે છે. જો કે, આ વખતે તેની તીવ્રતા પહેલાં જેટલી નહીં હોય. હાલ વાયુ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્ચિમ તરફ 210 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વાયુ સાઈક્લોનની તીવ્રતા ચોક્કસપણે ઘટી રહી છે, પરંતુ તે ડીપ ડીપ્રેશન અથવા તો સાઈક્લોનિક સ્ટોર્મ તરીકે ગુજરાતના સમુદ્રકાંઠે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત સરકારને આ સાઈક્લોનિક સ્ટોર્મના પાછા ફરવા વિશે સાબદી કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર પણ તમામ સંભવિત પગલાં લઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સાઈક્લોન વાયુ ગત ગુરુવારે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકવાનું હતું. અલબત્ત, બુધવારે રાત્રે મધદરિયે તેની ધરી બદલાતાં ગુરુવાર સુધીમાં તો તે ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. તે ગુજરાતના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર પાસે થઈને પસાર થઈ ગયું હતું અને દરિયા તરફ આગળ વધ્યું હતું.