વાયુનો ખતરો રાજ્ય પરથી ટળ્યો છે, પરંતુ તેની અસર યથાવત છે. વાવાઝોડાની અસરને કારણે ગીર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેને લઈને હિરણ નદીમાં પૂર આવ્યું છે. પૂરના કારણે વેરાવળ તાલાલા રોડનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તાલાલ રોડ પર કોઝ વેની ગોકળગતીએ ચાલતી કામગીરીના પગલે ત્રણ કોઝ વેના ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયુ છે. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સવારે 6થી 1 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ
વહેલી સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી સૌરાષ્ટ્રના 54 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ આવતા અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. સવારે 6 વાગ્યાથી 1 વાગ્યા સુધી વેરાવળમાં 2 ઈંચ, સૂત્રાપાડા 2 ઈંચ, તલાલા 2 ઈંચ, સાવરકુંડલામાં 2 ઈંચ નોંધાયો છે. ભેસાણ, ખાંભા, કુતિયાણા, ભાવનગર અને માળિયામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માંગરોળ, બાબરા, મેંદરડા, અમરેલીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની અસરથી ભારે નુકસાન
ગીર-સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની અસરના કારણે ભારે નુકસાન થયું છે. ગામડાઓમાં છેલ્લા 4 દિવસથી વિજળી ગુલ થઈ ગઈ છે. તો વિજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. વીજળી ગુલ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે કેરી અને કેળના પાકને પણ ભારે નુકસાન થયું છે.હ જારો કેળના વૃક્ષો નમી પડ્યા છે. જ્યારે નાળિયેરી પણ જમીનદોસ્ત થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મકાનો ધરાશાયી થયા છે. તો કેટલાક મકાનોમાં નુકસાન થયું છે.
દ્વારકામાં મોજા ઉછળીને ગોમતી ઘાટ પર પહોંચ્યા:
દ્વારકામાં હજુ પણ વાવાઝોડાની અસર યથાવત્ છે. દ્વારકામાં ગોમતી ઘાટ સુધી દરિયાનું પાણી પહોંચી ગયું છે..દરિયો ગાંડોતૂર થતાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાનું પાણી ઉછળીને ઘાટ પર પહોંચી રહ્યું છે. જેથી લોકોને ઘાટ સુધી જતાં અટકાવવામાં આવી રહ્યા છે.
24 કલાકમાં 8 ઈંચ વરસાદ:
છેલ્લા 24 કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે તાલાળા તાલુકામાં સાડા છ ઇંચ, સુત્રાપાડા તાલુકામાં છ ઇંચ, વેરાવળમાં 60 મી.મી. કોડીનારમાં 48 મી.મી., ગીર ગઢડામાં 30૦ મી.મી. અને ઉનામાં 22 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના વંથલીમાં 86 મી.મી., મેંદરડામાં 72 મી.મી, માળીયામાં 69 મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં 45 મી.મી., માંગરોળમાં 37 મી.મી., કેશોદમાં 32 મી.મી., વિસાવદરમાં 24 મી.મી., ભેંસાણમાં 20 મી.મી., માણાવદરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો છે.
અતિભારે વરસાદ અને પવનની હવામાન વિભાગે કરી અગાહી:
વાયુ વાવાઝોડાની ગુજરાતમાંથી અસર ઘટી છે. જ્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રતિક્રિયા આપી હતી કે, વાયુ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી આગળ વધ્યુ છે. હાલમાં તેની તીવ્રતામાં પણ ઘટાડો થયો છે.
જયંત સરકારે જણાવ્યું કે, વાયુ વાવાઝોડું પોરબંદરથી 130 કિલોમીટર, વેરાવળથી 185 કિલોમીટર અને દીવથી 250 કિલોમીટર દૂર છે. સાથે જ તેમણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની અને પવનની અગાહી કરી છે. તો વાવાઝોડાના કારણે ગુજરાતના 10 જિલ્લામાં શું અસર થઇ છે તેને લઇ ડિઝાસ્ટર સેન્ટર ખાતે બેઠક પણ યોજાશે. આ હાઇપાવર કમિટીની બેઠક ચીફ સેક્રેટરી જે.એન.સિંહની અધ્યક્ષતામાં યોજાશે. જેમાં હવામાન વિભાગ, NDRF, ગૃહ વિભાના અધિકારીઓ હાજર રહેશે. જેમાં જાહેર પરિવહન સેવાઓ અને સ્કૂલ, કોલેજને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાશે.
3 કરોડના નુકસાનનો અર્જૂન મોઢવાડિયાએ કર્યો દાવો:
વાવાઝોડાને લઈને પોરબંદરના માછીમારોને નુકસાન થયુ છે. અર્જૂન મોઢવાડિયાએ દરિયા કિનારાની મુલાકાત લીધી હતી. મોઢવાડિયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા આફત આવે ત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. તે પહેલા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી. સરકાર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, પણ તેમના માલ સામાન વિશે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે માછીમારોને નુકસાન થયુ છે. માછીમારોને સરકાર દ્વારા માછીમારોને સહાય આપવામાં આવે તેવી માગ કરી છે.
ત્યારબાદ પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી અર્જુન મોઢવાડીયાએ માછીમારોને 3 કરોડના નુકસાનનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, બોટ તૂટવાથી અને તણાઈ જવાથી માછીમારોને 3 કરોડથી પણ વધુના નુકશાન થયું છે.
રાહત કમિશનર મનોજ કોઠારીની પત્રકાર પરિષદ:
વાયુ વાવાઝોડાની અસરને લઇને રાહત કમિશનર મનોજ કોઠારીએ પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપી હતી. રાહત કમિશનર મનોજ કોઠારીએ કહ્યું કે, વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે અને વાવાઝોડામાં કોઇ મોટું નુકસાન થયું નથી અને જો નુકસાન હશે તો તેનો સરવે કરી અને સહાય પણ ચૂકવવામાં આવશે. ત્યારે વાવાઝોડાની અસરના કારણે પોરબંદરમાં સૌથી વધુ પવનની ગતિ નોંધાઇ અને સમુદ્રમાં 4.5 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા. રાહત કમિશનરે કહ્યું કે, વાવાઝોડાના કારણે હવે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.
પીપાવાવ બંદરથી ફંગોળાયેલા જહાજમાં ભરાયું પાણી:
વાયુ વાવાઝોડાના કારણે પીપાવાવથી ફંગોળાયેલા જહાજને નુકસાન પહોંચ્યું છે. પીપાવાવથી જહાજ ફંગોળાઇને અમરેલીના ભકોદર પહોંચ્યું છે, જ્યાં જહાજમાં પાણી ભરાઇ ગયું છે. વાવાઝોડાના કારણે પીપાવાવ એન્કર પોઇન્ટથી જહાજ ફંગોળાયું હતું. ત્યારે હવે જો હવાની ગતિ વધશે તો જહાજને વધુ નુકસાન થઇ શકે છે.
પોરબંદરમાં અસર ઘટી:
પોરબંદરમાં હાલમાં વાયુ વાવાઝોડાની અસર ઘટી છે. ગુરૂવારે વાવાઝોડાની પોરબંદરના દરિયામાં અસર જોવા મળી હતી. વાવાઝોડાની અસર થતા પોરબંદરના દરિયામાં 20 જેટલી બોટ તણાઈ છે. બોટ તણાતા માછીમારોને નુકસાન થયુ છે. દરિયાનુ પાણી બહાર આવતા દીવાલનું ધોવાણ થતા કાંઠે પડેલી બોટને પણ નુકસાન થયુ છે. નુકસાન થતા માછીમારોએ સરકાર પાસે મદદની માગ કરી છે.
જામનગરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ:
તો જામનગરમાં વરસાદી માહોલ યથાવત છે અને છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં જામનગરમાં 26 મિલી, ધ્રોલમાં 10 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે જોડિયામાં 6 મિમી અને કાલાવડમાં 10 મિમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત જામજોધપુરમાં 17 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે.
દ્વારકાનો દરિયો ગાંડોતૂર:
જ્યારે દ્વારકામાં પણ વાયુની અસર યથાવત છે. દ્વારકામાં ગત રાતથી સતત ઝરમર વરસાદ પડી રહ્યો છે. હાલ દ્વારકાના દરિયામાંથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે પ્રવાસીઓ માટે દરિયાઇ વિસ્તારમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે. તો જૂનાગઢના માંગરોળના દરિયા કિનારે પણ તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તો 2 દિવસથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
તો ગીર-સોમનાથમાં વાયુ વાવાઝોડાના કારણે દરિયો એટલો ગાંડોતૂર થયો છે કે રહેણાંક વિસ્તારોમાં દરિયાના પાણી ઘુસી રહ્યા છે. દરિયામાં 20 ફૂટ જેટલા ઉંચા મોજાં ઉછળી રહ્યા છે અને પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસી રહ્યું છે.
વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાયું:
વાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાક કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાવાની તથા ભારે વરસાદની આગાહી કરી હતી. 11 જિલ્લામાં NDRF, આર્મીની ટુકડીઓ સ્ટેન્ડબાય છે. તો 3 લાખ લોકોે રાહત શિબિરમાં છે. અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. કોસ્ટ ગાર્ડે હજુ 50 કલાક સાવચેતીની અપીલ કરી હતી. કુલ 86 ટ્રેન રદ તો 37ના રૂટ ટૂંકાવાયા હતા. સૌરાષ્ટ્રના એરપોર્ટ ગુરવારે પણ બંધ રહ્યા હતા.