રાજય ભરમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે, જ્યારે વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ ચાલું થઇ ગયો છે. વાયુ વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પણ અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. તિથલ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. તો તીથલ દરિયાકાંઠે પણ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અને ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
દીવમાં ધીમી ધારે વરસાદ શરૂઆત થઈ છે. ત્યારે દીવના કલેક્ટર હેમંત કુમારે સુવિધાનુ નિરીક્ષણ કર્યુ છે અને ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્માએ સુવિધાનું નિરીક્ષણ કરીને લોકોને સલાહ આપી છે. લોકોને ઘર છોડવા માટે સમજાવવામા આવ્યા છે.દરિયા કિનારે પણ દીવ કલેક્ટર હેમંત કુમાર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વડોદરા પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વડોદરાના ડભોઈમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. વરસાદ સાથે પવન પણ જોવા મળી રહ્યો છે. વરસાદની પધરામણીથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
વાયુ વાવાઝોડાને લઇ મોરબીના જુમવાડી ગામના 650 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને લઇ દ્વારકાનું ગોમતીઘાટ પ્રથમ વખત ખાલી કરવામાં આવ્યું છે. દ્વારકાના ગોમતીઘાટ પર હોમગાર્ડ, પોલીસ અને એસઆરપીના જવાનોને તહેનાત કરાયા છે. તો ઉનાના દરિયામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે અને ઉનાના નવા બંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જ્યારે વાત કરીએ સુરતની તો વાયુ વાવાઝોડાને લઇ SRPના 95 જવાન અને NDRFના 30 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
વાયુ વાવાઝોડાની અસરના કારણે સુરતના દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં વરસાદ શરુ થઇ ગયો છે. તો અમરેલીના જાફરાબાદમાં સ્થળાંતર કરાયેલા લોકોને પારેખ સ્કૂલમાં મોકલાયા છે. અમરેલીના લાલબત્તી અને પીપળી ગામના લોકોને વાઢેરા, ધારાબંદર, બલાણા સહિતના ગામોમાં સ્થળાંતર કરાયા છે. ત્યારે વાયુ વાવાઝોડાના કારણે રેલવે તંત્રએ સાંજે 5:45 વાગે ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે જે અસરગ્રસ્તોને ઓખાથી રાજકોટ લઇ જવામાં મદદરૂપ થશે. તો સાથે જ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાયુ વાવાઝોડાના પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.