વાયુ ચક્રવાતની વચ્ચે પોરબંદરમાં નીલકંઠ મહાદેવનું મંદિરની દિવાલ ધરાશાયી થયું છે. ભારે તોફાન અને વરસાદના કારણે મહાદેવનું મંદિર તૂટી ગયું હતું. અગાઉ પણ પોરબંદરમાં ઊંચા મોજાં ઉછળ્યા હતા જેના કારણે સ્થાનિકોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે વાયુ વાવાઝોડાના તોફાની મોઝામાં મહાદેવનું મંદિર પણ ધરાશાયી થયું હતું.
દ્વારકા મંદિર પર પ્રથમ વખત ચડાવવામાં આવી બે ધજા:
વાવાઝોડાનું સંકટ ટળે તે માટે દ્વારકા મંદિરમાં પહેલીવાર દ્વારકાધીશને બે ધજા ચડાવવામાં આવી છે. સાથે જ મંત્રી જયદ્રથસિંહ પરમારે દ્વારકામાં લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે. તો વાયુ વાવાઝોડાના કારણે સુરતના દરિયાકિનારામાં તેજ પવન ફૂંકાઇ રહ્યો છે.
ટાવર પણ ધરાશાયી
ગુજરાતમાંથી વાયુનું સંકટ ટળ્યું હોય પણ પોરબંદરમાં તો તેજ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તેજ પવન ફૂંકાવાના પગલે જૂની જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેલો ટાવર તૂટી પડ્યો છે. એસ.પી. કચેરી ખાતે આવેલા જિરવાનનો ટાવર ધરાશયી થયો છે. તેજ ઝડપે ફૂંકાઈ રહેલા પવનના કારણે કંટ્રોલ રૂમનો આ ટાવર ધરાશાયી થયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે, પોરબંદર પર હજુ પણ વાયુ વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભારે પવન ફૂંકાતા દરિયા કિનારે 3 વ્યક્તિને ભારે પવનની થપાટ લાગતા ઇજાગ્રસ્ત થયા છે. તો આ ઈજાગ્રત થયેલા યુવકોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડાના કારણે આગામી 15 તારીખ સુધી પડશે ભારે વરસાદ
11 વાગ્યા સુધી શું થયું તેના પર નજર કરીએ તો, વાવાઝોડાના કારણે ગીરસોમનાથ અને ઉનાના દરિયા કિનારે ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે. વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે નહીં ટકરાય. જો કે વાવાઝોડાના કારણે આગામી 15 તારીખ સુધી ભારે વરસાદ પડશે.
જ્યારે અમદાવાદમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેના કારણે આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં આજે 30થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.