CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
વાયુ વાવાઝોડાને લઈને CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે. જેમાં સંભવિત જિલ્લાઓમાં તંત્રની કામગીરી મુદ્દે નિર્ણય લેવાશે. વાયુ વાવાઝોડાની ગતિવિધી આધારે તંત્ર એક્શન પ્લાન ઘડશે. સવારે 8 વાગ્યા સુધી સંવેદનશીલ તમામ જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા થશે. રાજ્યમાં હાલ ભારે વરસાદની હવામાન વિભાગ આગાહી કરી ચૂક્યુ છે. હવામાન વિભાગ, ડીઝાસ્ટર મેનેજમેન્ટના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. પોલીસ, મહેસુલ વિભાગ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વિભાગીય સચિવો અને જિલ્લાના પ્રભારીઓ સાથે પણ ચર્ચા કરાશે. જિલ્લાઓની સ્થિતિને ધ્યાને રાખીને તંત્રને આગામી સુચનો કરાશે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો છે. બીજા દિવસે અરવલ્લીમાં મેઘરાજાની પધરામણી શરૂ થઇ છે. બાયડ-મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી રહી છે.
10 જિલ્લાઓની શાળાઓ આવતીકાલે બંધઃ સીએમ રૂપાણી
વાયુ વાવાઝોડાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતથી આફત ટળી છે. ભગવાન સોમનાથ મહાદેવ, ભગવાન દ્વારકાધીશ અને હરસિદ્ધિ માતાની કૃપાથી વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. 'વાયુ' વાવાઝોડાએ ટર્ન લીધો. તેમ છતા પણ હજુ આપણે સતર્ક રહેવાનું છે. વાવાઝોડું જ નહીં પરંતુ વરસાદના કારણે કોઇ નુકસાની ન થાય તે માટે સજ્જ છીએ. NDRF અને PGVCLની ટીમ ખડેપગે છે. હજુ પણ તમામ ટીમો જેતે સ્થળે રહેશે. આવતીકાલે સવારે સમીક્ષા બેઠક બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે પણ 10 જિલ્લાની શાળાઓ બંધ કરવાનો નિર્ણય યથાવત્ રાખવામાં આવ્યો છે.
CMની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
વાયુ વાવાઝોડાને લઈને ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં વાયુ વાવઝોડાની સ્થિતિને લઈને ચર્ચા કરાઈ હતી. તેમજ અધિકારીઓ પાસેથી કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં વાવાઝોડાની સ્થિતિ અને આગામી કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
માંગરોળ બંદર પરની જેટીમાં પાણી ભરાયા
જૂનાગઢના માંગરોળ બંદર પરની જેટીમાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. દરિયાનું પાણી જેટી ઓળંગી અંદર ઘુસ્યું હતું. પવનની ઝડપમાં વધારો થતા દરિયો તોફાની બન્યો.
જાફરાબાદના દરિયામાં જહાજ ફસાયું
અમરેલીમાં જાફરાબાદના દરિયામાં જહાજ ફસાયું હતું. આકેર નામનું જહાજ દરિયામાં ફસાયું હતું. દરિયામાં પાણીનો પ્રવાહ વધતા જહાજ ડૂબે તેવી શક્યતાઓ હતી. જાફરાબાદના દરિયામા જહાજ બાંધી કેટલાક લોકો ગઈકાલે કાંઠે આવી ગયા હતા. આજે એંકરથી છુટુ પડતા જહાજ ચાલતું થયું હતું. મોડી રાત સુધીમાં જહાજ ડૂબી શકે છે. દરિયામા ઊંચા મોજા ઉછળતા હોવાથી જહાજને કાંઠે લાવવુ મુશ્કેલ છે. જાફરાબાદના ભાકોદરમાં આવેલ સ્વાન જેટી નજીક જહાજ પોહચ્યું હતું.
વાયુ વાવાઝોડાની અસરને લઈ વરસાદની હવામાન વિભાગની અગાહી
વાયુ વાવાઝોડાની અસરને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદની અગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ સહિતના મધ્યગુજરાતમાં વરસાદ પડશે. હાલ વાયુ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈને દરિયા કિનારાઓ પર 2 દિવસ સ્થતિ યથાવત રહેશે. જેથી હાલ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સુચન કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કોસ્ટલ એરિયામાં ભારે વરસાદ થશે. હાલ વાવાઝોડુ વેરાવળથી 130 કિમી દૂર છે. દીવથી 190 કિમી દૂર વાવાઝોડુ પહોંચી ચુક્યુ છે. ત્યારે માછીમારોને દરિયમાં ન જવા માટે સુચન કરવામાં આવ્યુ છે.
અમદાવાદમાં 6 કલાકે વરસાદનુ આગમન
મહત્વનું છે કે, અમદાવાદમાં સાંજના 6 કલાકે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફંકાયા બાદ વરસાદ વરસ્યો હતો. SG હાઇવે, બોડકદેવ, માનસી સર્કલ સહીત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
રાજ્યના 28 તાલુકામાં વરસાદ
વાયુ વાવાઝોડાને કારણે રાજ્યના 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. 12 તાલુકાઓમાં એક ઈંચથી પણ વધારે વરસાદ પડ્યો હતો. જેમાં જાફરાબાદ, ખાંભા, તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળામાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ભાવનગર, વલભીપુર સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 16 તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
પોરબંદરના બંદર નજીક પાર્કિંગ કરેલી બોટ તણાય
વાયુ વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે. પરંતુ તેની અસર યથાવત જોવા મળી રહી છે. વાયુ વાવાઝોડાની અસરને લઈને પોરબંદરના દરિયામાં કરંટ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઈને પોરબંદરના બંદર નજીક પાર્કિંગ કરેલી બોટ તણાઈ હતી. મળતી માહિતી મુજબ 1 બોટ અને 3 નાની બોટો પોરબંદરના દરિયામાં તણાયા હતા.
4 વાગ્યા સુધી શું થયું? વાવાઝોડાનો ખતરો સંપૂર્ણ ન ટળે ત્યાં સુધી બોટો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તો કચ્છના માંડવીમાં તોફાની પવન શરૂ થયો છે. જ્યારે એનડીઆરએફ દ્વારા ઉનામાં મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટ ST વિભાગનો નિર્ણય
રાજકોટમાં વાયુ વાવાઝોડાના પગલે ST વિભાગનો નિર્ણય લેવાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પસાર થતા તમામ રૂટ રદ્દ કરાયા છે. રાજકોટ-વેરાવળના 10 રૂટ,રાજકોટ-દિવના 8 રૂટ રદ્દ કરાયા છે. રાજકોટ-ભુજના 18 રૂટ રદ્દ કરાયા છે. રૂટ રદ્દ થતા મુસાફરોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર તરફ જતી બસોને ડેપો પર હોલ્ડ કરવા સૂચના અપાઇ છે.
કચ્છના માંડવીમાં તોફાની પવન શરૂ
કચ્છના માંડવીમાં પણ વાયુ વાવાઝોડાની હવા પહોંચી ગઈ છે. માંડવીમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનના કારણે, માંડવીથી મુન્દ્રા વચ્ચે દરિયા કિનારે આવેલી એક હોટેલના પતરા ઉડી ગયાં છે. જોકે આ ઘટનામાં કોઈપણ વ્યક્તીને ઈજા નથી પહોંચી અને તમામ લોકોને સુરક્ષીત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.
NDRFએ ઉનામાં શરૂ કર્યો મેડિકલ કેમ્પ
વાયુ વાવાઝોડાનો ખતરો હળવો બનતા ઉના અને આસપાસના ગામોમાં NDRF દ્વારા મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. ખરાબ વાતાવરણમાં ઘણા લોકો માંદા છે ત્યારે કેમ્પમાં સારવાર લેવા પહોંચી ગયા છે. NDRF દ્વારા નવાબંદરમાં પણ મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
ઓખામાં વાયુ વાવઝોડાની અસર યથાવત
ઓખામાં વાયુ વાવઝોડાની અસર યથાવત છે. ઓખા દરિયામાં ભારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેને લઈને ઓખાથી બેટ દ્વારકાનો દરિયાઈ માર્ગ બંધ કરવામાં આવી છે અને માછીમારોની બોટ પણ બંધ કરવામાં આવી છે. વાયુ વાવઝોડાને લીધે તંત્ર દ્વારા અલર્ટ આપવામાં આવ્યુ છે. તો બેટ દ્વારકા અને ઓખા દરિયા પર પોલીસ અને NDRF ટીમ તહેનાત કરવામાં આવી છે. વાવઝોડાનો ખતરો સંપૂર્ણ નહિ ટળે ત્યાં સુધી બોટો બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. જેને લઈને બેટ દ્વારકાના લોકો પણ ઓખા તરફ આવી શકશે નહીં.
સોમનાથમાં ત્રિવેણીઘાટ પર પાણી ફરી વળ્યા
સોમનાથમાં ત્રિવેણીસંગમમાં દરિયાના પાણી ઘૂસી ગયા છે. જેને પગલે ત્રિવેણીસંગમ વિસ્તાર ખાલી પણ કરાવાયો છે. દરિયાના ભારે કરંટને કારણે નદી અને દરિયા વચ્ચેનો પાળો તૂટી ગયો હતો. જેને લીધે દરિયાના પાણી ત્રિવેણી નદીમાં પ્રવેશી ગયા હતાં.
3 વાગ્યા સુધી શું થયું તેના પર નજર કરીએ તો, ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાં 10 જિલ્લામાં કોમ્યુનિકેશન માટે હેમ રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યો છે. જામનગર, પોરબંદર, વેરાવળ, રાજકોટમાં હેમ રેડિયો સ્ટેશન ઉભા કરાયા છે. ત્યારે માંડવીનો દરિયો તોફાની બન્યો છે જેને લઇ દરિયાકિનારે પોલીસ તૈનાત કરી દેવાઇ છે. અને લોકોને દરિયો જોવા ન જવા અપીલ કરાઇ છે.
વાયુ વાવાઝોડાની અસર શરૂ:
ગીર-સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે બાઇકો હવામાં ફંગોળાઇ ગઇ છે. તો ઉનાના નાળિયા માંડવીમાં તેજ પવનના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા જેને લઇ હાલ પોલીસને બીચ પર તૈનાત કરી દેવાઇ છે. જ્યારે પોરબંદરના રાણાવાવમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ અને દીવાલ ધરાશાયી થઇ છે. વાયુ વાવાઝોડાના કારણે સોમનાથ અને વેરાવળમાં 40ની ગતિએ પવન ફૂંકાયો છે. ત્યારે આ તમામ વચ્ચે ભાવનગરમાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઇ. જેમા 29 પ્રસૂતાઓને આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવી અને રાત્રી દરમિયાન 4 પ્રસૂતાની સફળ પ્રસૂતિ કરવામાં આવી.
આ જીલ્લાઓમાં 4 જૂન સુધી વાયુ વાવાઝોડાની જોવા મળશે વધુ અસર:
2 વાગ્યા સુધી શું થયું તેના વિશે જણાવીએ તો, વાયુ વાવાઝોડાને લઇ હવામાન વિભાગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી કે, વાયુ વાવાઝોડું ગુજરાતમાં નહીં ટકરાય જો કે 14 જૂન સુધી વાયુ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. જેમાં અમરેલી, જામનગર, પોરબંદરમાં વધુ અસર જોવા મળશે. ઉપરાંત ગીરસોમનાથ, દીવ, પોરબંદર, દ્વારકામાં વાવાઝોડાની અસર થશે.
ત્યારે વાયુ વાવાઝોડના કારણે વેરાવળનો દરિયો તોફાની બન્યો છે જેને લઇ ભીડિયા બંદર પર લંગારવામાં આવેલી 40થી 50 મોટી બોટોને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભીડિયા બંદર પર પહોંચી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
પોરબંદરના દરિયકિનારે 3 વ્યક્તિને ઇજા:
તો પોરબંદરના માધવપુર બીચ પર ભારે પવન ફૂંકાય રહ્યો છે ત્યારે દરિયકિનારે 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. ઉપરાંત પોરબંદરમાં તેજ પવનના કારણે જૂની જિલ્લા એસપી કચેરી ખાતે કંટ્રોલ રૂમનો ટાવર ધરાશાયી થઇ ગયો છે. જ્યારે ગીરસોમનાથ જિલ્લામાં પણ તેજ પવનના કારણે ઉભા પાકને નુકસાન થયું છે. જ્યારે બેટ દ્વારકા વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો બેટ દ્વારકા જેટી પાસે મોજા ઉછડી રહ્યા છે.
હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ:
1 વાગ્યા સુધીના સમાચાર વિશે તમને જણાવીએ તો, વાયુ વાવાઝોડાને લઇ મહેસૂલ મુખ્ય અધિક સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, હાલ પ્રભાવિત વિસ્તારમાં NDRFની તમામ 47 ટીમ તહેનાત કરાઇ છે, ઉપરાંત તેઓએ બપોરે વાવાઝોડું સૌરાષ્ટ્રના તટિય વિસ્તારથી પસાર થવાની પણ માહિતી આપી. તો વાવાઝોડાના કારણે ભાવનગરના અલંગના દરિયામાં 20 ફૂટ ઊંચા મોજા ઉછડ્યા જેના કારણે શીપબ્રેકિંગ યાર્ડનું કામ ઠપ થઇ ગયું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, વાયુ વાવાજોડુ મજબૂત બની રહ્યુ છે. પોરબંદરમા હવાની ગતી વધીને ૭૦ કિમી પ્રતિકલાકની થઇ છે. જ્યારે હજુ પણ ગતિ વધવાની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ નહી ટકરાય, જો કે તેની વધુ અસર અમરેલી, જામનગર, પોરબંદરમાં જોવા મળશે. હાલ વાવાઝોડાની સિસ્ટમ ઘણી દૂર છે. જેમ વેરાવળ નજીક વાવાઝોડુ આવે તેમ તેની ઝડપ વધી શકે છે. હજુ બે દિવસ સુધી દરિયા કિનારાના વિસ્તારોમાં અસર જોવા મળશે.
દ્વારકાના દરિયાકાંઠેથી 300 લોકો કરાયા સ્થળાંતરીત
1 વાગ્યા સુધીના સમાચારમાં તમને જણાવીએ તો, નવસારીમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે બોરસી ગામમાં દરિયાનું પાણી ઘૂસી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. તો પોરબંદરમાં દરિયો ગાંડોતૂર બનતા ભૂતેશ્વર મહાદિવના મંદિરનો એક ભાગ તૂટી ગયો. જ્યારે જામનગરના જોડિયા બંદરે વાતાવરણ પલટાયું છે. અને હાલ તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. તો ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો છે અને 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે. જ્યારે દ્વારકાના દરિયાકાંઠેથી 300 લોકોને રૂપેણની શાળામાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. સાથે જ NDRFએ દ્વારકામાં ફસાયેલા બસીર નામના માછીમાર યુવકનું રેસ્ક્યૂ કર્યું છે. ત્યારે વાયુ વાવાઝોડાના કારણે સુરતના અમરોલીના કોસાડમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે.
પોરબંદરમાં દરિયાના મોજાના કારણે ભૂતેશ્વર મંદિરનો એક ભાગ તૂટ્યો
વાયુ વાવાઝોડાનું સંકટ રાજ્ય પરથી ટળ્યું છે, પરંતું તેની અસર યથાવત છે. વાવાઝોડાને પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં 20 ફૂટ ઊંચા મોજા ઊછળી રહ્યા છે. ભારે પવન અને તોફાની દરિયાને કારણે પોરબંદરના દિવાદાંડી નજીક આવેલા ભૂતેશ્વર મંદિરનો એક ભાગ દરિયાના મોજાના કારણે તૂટી પડ્યો છે.
દીવમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બ્લોક:
12 વાગ્યા સુધી શું થયું તેના પર નજર કરીએ તો, વાવાઝોડાના કારણે ઉનાના નવી બંદર ગામમાં તેજ પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે દીવમાં વાયુ વાવાઝોડાના કારણે તોફાની પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બ્લોક થઇ ગયા ત્યારે રસ્તાઓ વચ્ચેથી વૃક્ષોને હટાવવાની કામગીરી કરાઇ રહી છે. જો કે સંકટ ટળતા દીવમાં 9 નંબરનું સિગ્નલ હટાવી અને 8 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.
કંડલામાં 9 નંબરનું સિગ્નલ યથાવત
12 વાગ્યા સુધીની અપડેટ્સમાં જણાવીએ તો, કંડલા પોર્ટ પર પવનની ગતિ તેજ બની છે જેને લઇ હજુ પણ કંડલામાં 9 નંબરનું સિગ્નલ યથાવત છે. જ્યારે ગીરસોમનાથનો દરિયો તોફાની બન્યો છે. ગીરસોમનાથના દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે.
દ્વારકા મંદિર પર પ્રથમ વખત ચડાવવામાં આવી બે ધજા:
વાવાઝોડાનું સંકટ ટળે તે માટે દ્વારકા મંદિરમાં પહેલીવાર દ્વારકાધીશને બે ધજા ચડાવવામાં આવી છે. સાથે જ મંત્રી જયદ્રથસિંહ પરમારે દ્વારકામાં લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરી છે. તો વાયુ વાવાઝોડાના કારણે સુરતના દરિયાકિનારામાં તેજ પવન ફૂંકાઇ રહ્યો છે.
વાવાઝોડાના કારણે આગામી 15 તારીખ સુધી પડશે ભારે વરસાદ
11 વાગ્યા સુધી શું થયું તેના પર નજર કરીએ તો, વાવાઝોડાના કારણે ગીરસોમનાથ અને ઉનાના દરિયા કિનારે ધીમીધારે વરસાદ શરૂ થઇ ગયો છે. વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે નહીં ટકરાય. જો કે વાવાઝોડાના કારણે આગામી 15 તારીખ સુધી ભારે વરસાદ પડશે.
જ્યારે અમદાવાદમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેના કારણે આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં આજે 30થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
પોરબંદરમાં કોસ્ટગાર્ડની પત્રકાર પરિષદ:
પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે, વાવાઝોડુ સમુદ્રમાં 120 કીમી દૂર છે, જે ગુજરાતના કીનારા પાસેથી પસાર થશે. હજુ તમામ પરિસ્થિતિ સાફ થતાં 8 થી 9 કલાક લાગશે જેથી લોકો સુરક્ષિત જગ્યાએ જ રહે, વાવાઝોડુ ખુબજ ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે.
વાવાઝોડાની અસરના કારણે 27 ફ્લાઇટ્સ કરાઇ ડાયવર્ટ
જ્યારે વાવાઝોડાની અસર દિલ્લીમાં પણ થઇ છે. દિલ્લીમાં કુલ 27 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી દેવાઇ છે જેના કારણે કેટલીક ફ્લાઇટો મોડી પણ પડી છે. જ્યારે મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનમાં પણ વરસાદ પડી રહ્યો છે. જો કે રાજ્યમાં સુરતના ઓલપાડના દરિયાકાંઠા વિસ્તારમાં વાતાવરણ સામાન્ય બન્યું છે. પવનની ગતિમાં ગતરોજ કરતા ઘટાડો થયો છે. જ્યારે કચ્છના માંડવી બીચ પર તેજ પવન ફૂંકાયો છે જેના તકારણે સલામતીને લઇ બીચ પર પોલીસ જવાનો તહેનાત કરી દેવાયા છે.
તેજ પવનના કારણે ઠેર ઠેર મકાનો ધરાશાયી
તો જામનગરમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સચાણા બંદર ખાતે તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે દીવમાં દરિયો તોફાની બન્યો છે અને 25 ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં તેજ પવનના કારણે PGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી થયું જેના કારણે હાલ વીજળી ગુલ થઇ ગઇ છે. તો ગીરસોમનાથના માધવાડમાં દરિયાકિનારે પાસેના 7 જેટલા મકાનો ધરાશાયી થયા છે. જ્યારે વાવાઝોડાને પગલે પંચમહાલ ST વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી 15 જેટલી ટ્રીપ રદ કરી દેવાઇ છે.
વાયુ વાવાઝોની 10 વાગ્યા સુધીની અપડેટ્સ પર નજર કરીએ તો, વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે નહીં ટકરાય. જો કે વાવાઝોડાના કારણે આગામી 15 તારીખ સુધી ભારે વરસાદ પડશે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 110 કિલોમીટર દૂર અને પોરબંદરથી 150 કિલોમીટર દૂર છે. ત્યારે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40થી 50 કિમીનો પવન ફૂંકાય તેવી શક્યતા છે.
વાયુ વાવાઝોડાના કારણે ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદ રહેશે. ઉપરાંત કચ્છ, જામનગર, દ્વારકામાં પણ પવન સાથે વરસાદ પડશે. જ્યારે સુરતના રાંદેર, મોરાભાગલ, દાંડીરોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યારે હાલ સુરત મનપાની 100 સભ્યોની રેસ્ક્યૂ ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે.
સ્થળાંતરિત લોકોએ હજુ ત્યા જ રહેવા સરકારની અપીલ:
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટને લગભગ ટળી ગયું છે, પરંતુ સ્થળાંતરિત લોકોએ હજુ ત્યા જ રહેવા સરકાર દ્વારા અપિલ કરવામાં આવી છે. સાથે જ લોકોને સરકાર દ્વારા દરિયા કિનારા પર લોકોને ન જવા માટે અપિલ કરવામાં આવી છે...
વાવાઝોડાના કારણે શાળાઓમાં રજા:
જ્યારે સિવિલ હોસ્પિટલમાં 30 બેડ રિઝર્વ રખાયા છે. ઉપરાંત સુરતના ચોર્યાસી, ઓલપાડના કાંઠા વિસ્તારના 31 ગામોની શાળાઓમાં રજા આપી દેવાઇ છે. જ્યારે વાવાઝોડાના કારણે વલસાડની 39 શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ છે અને વલસાડના દરિયાકિનારે SRPના જવાનો ખડેપગે છે. તો હાલ જૂનાગઢના માંગરોળનો દરિયો તોફાની બન્યો છે જ્યાં NDRF અને આર્મીની ટીમ તહેનાત કરી દેવાઇ છે. વાયુ વાવાઝોડાના કારણે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેન 5 કલાકથી વધુ મોડી પડી છે.
વાયુ વાવાઝોડાને લઇ ગુજરાત માટે રાહતના સમાચાર
વાયુ વાવાઝોડાને લઇને 13 જુને સવારે 8:30 વાગ્યે વાયુની દિશા બદલાઈ હોવાની અપડેટ આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાયુ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર નહીં થાય. આ વાવાઝોડું પોરબંદર નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. હાલ જે કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું વાયુ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. વાયુ હાલ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય પરંતુ પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી પસાર થશે. કાંઠાના વિસ્તારમાં થોડી અસર જોવા મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
સ્કાયમેટના મતે હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 150 કિલોમીટર દૂર છે પરંતુ આંશિક દિશા બદલાતા પોરબંદરના દરિયાકિનારાથી ઓમાનના દરિયા તરફ ફંટાઇ શકે છે. આથી ગુજરાત માટે થોડાંક રાહતના સમાચાર કહી શકાય. જો કે આ બાબત અંગે હાલ ગુજરાત સરકાર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી પરંતુ બપોરે આ અંગે જાહેરાત કરાય તેવી શકયતા છે. વાયુ વાવાઝોડું કેટેગરી 1 માંથી 2માં ફેરવાઇ ગયું છે. આમ વાવાઝોડાની વિનાશકતા ઓછી પડી છે.
કંટ્રોલરૂમ નંબરની યાદી.
ગાંધીનગર કંટ્રોલ રૂમ
સૌરાષ્ટ્ર કંટ્રોલ રૂમ
હેલ્પ લાઇન નંબર: