વાયુ વાવાઝોડાને લઇ મોરબીના જુમવાડી ગામના 650 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને લઇ દ્વારકાનું ગોમતીઘાટ પ્રથમ વખત ખાલી કરવામાં આવ્યું છે. દ્વારકાના ગોમતીઘાટ પર હોમગાર્ડ, પોલીસ અને એસઆરપીના જવાનોને તહેનાત કરાયા છે. તો ઉનાના દરિયામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે અને ઉનાના નવા બંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જ્યારે વાત કરીએ સુરતની તો વાયુ વાવાઝોડાને લઇ SRPના 95 જવાન અને NDRFના 30 જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
વાયુ વાવાઝોડાની અસરના કારણે સુરતના દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં વરસાદ શરુ થઇ ગયો છે. તો અમરેલીના જાફરાબાદમાં સ્થળાંતર કરાયેલા લોકોને પારેખ સ્કૂલમાં મોકલાયા છે. અમરેલીના લાલબત્તી અને પીપળી ગામના લોકોને વાઢેરા, ધારાબંદર, બલાણા સહિતના ગામોમાં સ્થળાંતર કરાયા છે. ત્યારે વાયુ વાવાઝોડાના કારણે રેલવે તંત્રએ સાંજે 5:45 વાગે ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે જે અસરગ્રસ્તોને ઓખાથી રાજકોટ લઇ જવામાં મદદરૂપ થશે. તો સાથે જ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વાયુ વાવાઝોડાના પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
અરબ સાગરમાંથી ઉભા થયેલા વાયુ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભાવિત થનાર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવાઈ છે. અંદાજે એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર શરૂ થઈ ગયું છે. સાથે જ એનડીઆરએફની 51 ટીમને તહેનાત કરાઈ છે. ત્યારે વાવાઝોડાની અસર તળે સુસવાટા મારતો પવન ફૂંકાવા લાગ્યો છે અને વરસાદ પણ પડી રહ્યો છે.
CM રૂપાણી અધિકારીઓ સાથે સંપર્કમાં:
વાયુ વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી નજર રાખી રહ્યા છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સથી અધિકારીઓ સાથે સંપર્કમાં છે. મોરબી, ગીર-સોમનાથ, કચ્છ, બોટાદ અને જૂનાગઢના અધિકારીઓ સાથે CM રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી અને ત્યાંની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. વાયુ વાવાઝોડામાં રાહત અને બચાવ માટે આર્મીને પણ સતર્ક રાખવામાં આવશે. તો વાવાઝોડાના પગલે સરકારી કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણી:
વાયુ વાવાઝોડા મામલે હવામાન વિભાગે ચેતવણી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યના 7 જિલ્લામાં મોટું નુકસાન થઈ શકે છે. જેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું પોરબંદર અને દીવ વચ્ચે ત્રાટકશે. જે પહેલા દીવ અને વેરાવળ વચ્ચે ત્રાટકવાનું હતું. જોકે દિશા બદલાતા હવે વેસ્ટ ઓફ વેરાવળ તરફ વાયુ વાવાઝોડું ત્રાટકશે.
વાયુ વાવાઝોડાને લઇ ઇન્ડિયન એરફોર્સ પણ સ્ટેન્ડ ટુ:
વાયુ વાવાઝોડાને લઇ ઇન્ડિયન એરફોર્સ પણ સ્ટેન્ડ ટુ છે. NDRFના જવાનો નવી દિલ્લીથી અરક્કોણમ થઇ જામનગર પહોંચ્યા છે. C-17 એરક્રાફ્ટથી NDRFના 152 જવાનો જામનગર પહોંચ્યા છે. ઉપરાંત દિલ્લી-પટનાથી પણ NDRFના 154 જવાનોને સ્ટેન્ડબાય રખાયા છે. ઉપરાંત IAFના હેલિકોપ્ટરો પણ સ્ટેન્ડબાય છે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રની શું છે પરિસ્થિતિ:
ભાવનગર:
રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેને સોંપાઈ ભાવનગર જિલ્લાની જવાબદારી.
વિભાવરીબેને ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે કરી મુલાકાત.
વાવાઝોડાને લઈને ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે તંત્ર સજ્જઃ વિભાવરી દવે.
18,000 લોકોને સ્થળાંતર કરાવી શકાય તે માટે તંત્ર સજ્જ વિભાવરી દવે.
ભાવનગરમાંથી સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરિયાકાંઠે વસતા પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ દરિયા પાસે બનાવેલી પ્રોટેક્શન વોલ પણ તૂટેલી હાલતમાં હોવાથી ગામમાં દરિયાઈ પાણી ઘુસવાનો પણ મોટો ભય છે. દરિયાનું પાણી ગામમાં ઘુસે તેવી શક્યતાના પગલે હાલ સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું છે. ઘોઘામાંથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે હાલ ખસેડવામાં આવ્યા છે.
જામનગર:
જામનગર જીલ્લાના કોસ્ટલ વિસ્તારના ૨૫ ગામડાઓને વહીવટી તંત્રએ અતિ હાઈ એલર્ટની યાદીમાં મુક્યા છે. સંભવિત વાયુ વાવાઝોડું તટીય વિસ્તારને વધુ પ્રભાવીત કરશે. એવી હવામાન વિભાગની આગાહીને લઈને જામનગર જીલ્લાના સાગર કિનારે આવેલ ત્રણ તાલુકાના ૨૫ ગામડાઓને એલર્ટ કરાયા છે. આ ગામડાઓના ૭૦ હજાર પૈકી ૧૩,૯૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સરમત, સીંગચ, સચાણા સહિતના ગામડાઓના બે હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. આજ સાંજ સુધીમાં કોસ્ટલ વિસ્તારના તમામ લોકોનું સ્થળાંતર પૂર્ણ કરી લેવાશે.
અમરેલી:
વાવાઝોડાને લઈને જાફરાબાદનો વિસ્તાર કરાયો ખાલી.
લાલબત્તી અને પીપળી ગામનો વિસ્તાર કરાયો ખાલી.
બંને વસાહતમા રહેતાં 5 હજાર લોકોને કરાયા સ્થળાંતરિત.
સમગ્ર વિસ્તારમાં પોલીસ કરી રહી છે પેટ્રોલીંગ.
અમરેલીમાં જાફરાબાદના પીપળી વિસ્તારના 100થી વધુ લોકોને સ્થળાંતર માટે સમજાવવામાં આવી રહ્યા છે. સ્થળાંતર ન કરતા લોકોને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ઘર છોડવાની અપીલ કરવામાં આવી છે. હાલ જાફરાબાદમાં 22 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને 1000 જેટલા લોકોને રાજુલા ખાતે શાળામાં ખસેડવામાં આવ્યા છે.
તો પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ પહોંચ્યા છે. હીરા સોલંકી અહીં પહોંચીને લોકોને સમજાવીને સ્થળાતંર કરાવી રહ્યા છે. હીરા સોલંકી અને તેમના સાથીદારોએ 8 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે સમજાવ્યા છે. તો 1 હજાર લોકોને સમજાવીને સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડુ ત્રાટકે અને તેનાથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે લોકોને સમજાવીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
દ્વારકા:
યાત્રાધામ દ્વારકાનું ગોમતીઘાટ કરાવાયુ ખાલી.
હોમગાર્ડ, પોલીસ અને SRPના જવાનો તૈનાત.
વાવાઝોડાના કારણે પહેલીવાર ગોમતીઘાટ કરાયુ બંધ.
વાવાઝોડાની અસરને લઇને દ્વારકામાં પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સાથે સ્થાનિક પોલીસ સતર્ક થઇ છે. દ્વારકાના રૂપેણ બંદર ખાતે માછીમારો અને સ્થાનિકોને સ્કૂલ ખાતે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ત્યારે NDRFની ટીમ પણ દ્વારકા પહોંચી ચૂકી છે. સાથે સ્થાનિક પોલીસ સહિત વહીવટી તંત્ર ખડેપગે છે. રૂપેણ બંદર ખાતેથી 20 હજારથી વધુ લોકો દરિયા કિનારે વસવાટ કરે છે જેમનું હાલ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
સ્થળાંતર કરેલ વ્યક્તિઓ માટે ભોજનની પણ કરાઈ વ્યવસ્થા.
વાયુ વાવાઝોડાને લઇ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, હાલ સંભવિત અસરગ્રસ્તોને ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ફૂડ પેકેટ પણ તૈયાર કરી દેવાયા છે. ઉપરાંત 28 જવાનો જેતપુરમાં અને 51 આર્મી જવાનો ધોરાજી તૈનાત છે.
રાજકોટમાં વાયુ વાવાઝોડાના પગલે પીજીવીસીએલક તંત્ર પણ હાઈ અલર્ટ બન્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા પણ કેન્સલ કરી દેવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાય તો તેને તાત્કાલિક પહોંચી વળવા માટે આ તમામ ટીમોને તૈનાત કરવામાં આવી છે. તો લાઈનકામ કરતા કોન્ટ્રાક્ટર્સને લેબર્સ સાથે જ ત્યાં રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે.
તો વાયુ વાવાઝોડાને પગલે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગોંડલ અક્ષર મંદિરમાં આ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 450 મહિલા અને 60 પુરુષ સ્વયંસેવકો જોડાયા છે. આ સ્વયંસેવકોએ 15 હજાર જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા છે. વાવાઝોડા બાદની સ્થિતિ માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ગીર-સોમનાથ:
વાયુ વાવાઝોડું હવે ગીર-સોમનાથ જિલ્લાથી 329 કિમી દૂર છે. તો વાવાઝોડાને ધ્યાને રાખીને ગીર-સોમનાથ જિલ્લામાંથી 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ NDRF અને SDRFની ટીમો પણ તૈનાત થઈ ગઈ છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોનું સ્થળાંતર કરાવી રહી છે. તો સૂત્રાપાડામાં વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. હાલ સૂત્રાપાડામાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે. સૂત્રાપાડામાં સામાન્ય કરતા વધુ તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. હાલ વાવાઝોડું ગુજરાતથી 320 કિલોમીટર દૂર છે.
27 ગામના 2 હજારથી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા.
સ્થળાંતર કરાયેલા લોકો માટે 98 જેટલા આશ્રય સ્થાનોની વ્યવસ્થા.
સ્થાનિકોને 98 આશ્રમ શાળા અને 70 સ્કુલોમા ખસેડાયા.
પોરબંદર જિલ્લામાં પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે કામગીરી હાથ ધરાઈ છે. પોરબંદર જિલ્લાના 35 ગામોમાંથી 4 હજાર 60 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે રાણાવાવના 12 ગામોમાંથી 1 હજાર 87 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો કુતિયાણાના 15 ગામમાંથી 866 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6 હજારથી પણ વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 27 ગામના 2 હજારથી પણ વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતરિત કરાયા લોકો માટે 98 જેટલા અશ્રયસ્થાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિકો માટે 98 અશ્રય સ્થળ અને 70 સ્કૂલોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મોરબી:
સંભવિત વાયુ વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજે માળિયા મિયાણાના નવલખી બંદર નજીક આવેલ જુમવાડી ગામના 650 લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ:
દરિયા કિનારાના ગામડાઓમાં લોકોનું સ્થળાંતર.
મામલતદાર અને પોલીસની ટીમે શરૂ કરી કામગીરી.
માંગરોળના સેરિયાઝ ગામમાંથી લોકોનું સ્થળાંતર.
માછીમારોની બોટને પણ અન્ય સ્થળોએ ખસેડાઈ.
માંગરોળના માળિયા વિસ્તારમાં 465 લોકોનું સ્થળાંતર.
NDRFની 3 ટીમ, SDRFની 1 ટીમ કાર્યરત.
આ તરફ જૂનાગઢના માંગરોળમાં પણ ગામો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે દરિયા કિનારાના ગામડાઓમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. માંગરોળના સેરિયાઝ અને માળિયા સહિતના ગામમાંથી 465 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ જિલ્લામાં NDRFની 3 ટીમ અને SDRFની 1 ટીમ કાર્યરત છે.
વાયુ વાવાઝોડાને લઇને સિંહોની સલામતી માટે વનવિભાગ એલર્ટ થયુ છે. વનવિભાગના સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપવામાં આવી છે. દરિયા કિનારા આસપાસ વસવાટ કરતા સિંહોને સ્થાળાંતર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારોમાં વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ શરૂ કરી દાવામાં આવ્યું છે. તો ગીર વિસ્તારના તમામ સિંહો પર નજર રાખવા વનવિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યું છે.
સુરતમાં પણ વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યુ છે. સુરતમાં વાયુ વાવાઝોડાના પગલે સુરક્ષા ગોઠવવામાં આવી છે. સુરતમાં એસ.આર.પી.ના 95 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સાથો સાથ એનડીઆરએફના પણ 30 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય બે બોટ સાથે ડ્રીલ મશીન સહિતની બચાવ કામગીરીને લઈને તૈયારી કરી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે અહીં પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વલસાડ:
વાયુ વાવાઝોડાને લઇ વલસાડનું તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લામાં વાયુ વાવાઝોડાને લઇ ઉભી થનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ તંત્ર એ તૈયારી પૂર્ણ કરી લીધી છે. તો ઇમરજન્સી માટે NDRFની એક ટીમ પણ વલસાડ પહોંચી છે. NDRFના 25 જવાનો ની ટીમ વલસાડ પોલીસ હેડ કવાર્ટર પર પહોંચી હતી. ત્યાર બાદ ટીમે રાહત બચાવની સાધન સામગ્રીને તૈયાર કરી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને અને પરિસ્થિતિ થી વાકેફ થાય હતા. આમ જિલ્લામાં વાયુ વાવાઝોડાને લઇ ઉભી થનાર પરિસ્થિતિ વખતે રાહત બચાવ માટે NDRFની ટીમ વલસાડમાં સ્ટેન્ડ તૈનાત છે.
નવસારી:
વાયુ વાવાઝોડાની અસરના પગલે નવસારી જિલ્લાના 24 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના 52 કિલોમીટર દરિયાઈ વિસ્તારના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નવસારી, જિલ્લાનો બાવન કિલોમીટર દરિયા કિનારો પણ સુરક્ષિત કરી દેવામાં આવ્યો છે.. જેમાં ઉભરાટ અને દાંડી કિનાર ફરવા આવતા સહેલાણીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ દરિયા કિનારે આવેલ ખાણીપીણીઓ ની ટપરીઓ બંધ કરવામાં આવી છે પોલીસ જવાનોને દરિયામાં ફરવા આવતા સહેલાણીઓને રોકવા માટે ખડકી દીધા છે.
ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્માએ સુવિધાનું કર્યું નિરીક્ષણ.
લોકોને ઘર છોડવા માટે સમજાવવામાં આવ્યા.
દરિયા કિનારે પણ દીવ કલેક્ટર હેમંત કુમાર નિરીક્ષણ કર્યું.
દીવમા ધીમી ધારે વરસાદ શરૂઆત થઈ છે. ત્યારે દીવના કલેક્ટર હેમંત કુમારે સુવિધાનુ નિરીક્ષણ કર્યુ છે અને ડેપ્યુટી કલેક્ટર અપૂર્વ શર્માએ સુવિધાનું નિરીક્ષણ કરીને લોકોને સલાહ આપી છે. લોકોને ઘર છોડવા માટે સમજાવવામા આવ્યા છે. દરિયા કિનારે પણ દીવ કલેક્ટર હેમંત કુમાર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
દીવના કૂદનનો દરિયો ગાંડો તુર બન્યો છે. દરિયાકાંઠા પર આવેલ ગંગેશ્વર મંદિરના દર્શન કરવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. દરિયાકાંઠા પર જ આવેલ ગંગેશ્વર મંદિરના દર્શન માટે લોકોની ભીડ લાગી છે. મહત્વનુ છે કે, ગંગેશ્વર મંદિરના શિવાલયમાં દરીયો મહાદેવને અબિષેક કરતો હોય તેવા દર્શયો સર્જાતા લોકો જોવા માટે ઉમટી પડેયા છે. દરિયાની રોદ્ર સ્વરૂપને જોઈને પ્રવાસીઓ દુર-દુરથી દર્શન કરવા આવી રહ્યા છે.