વાયુ નામનું વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકવાની તૈયારીમાં છે. આ વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડા સાથે વરસાદ પણ થશે જેને લઈને તેની ગંભીરતા વધી જાય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અનેક ઠેકાણે 9 નંબરનું ભયજનક સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે.
જાફરાબાદ અને વેરાવળ બંદર પર 9 નંબરનું ભયજનક સીગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદ બંદર પર પહેલી વાર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાયુ વાવઝોડુ બપોર સુધીમાં વેરવાળના દરિયાકાંઠે ટકરાશે. જેની અસર વહેલી સવારથી વેરાવળના દરિયામાં જોવા મળી રહી છે. વેરાવળનો દરિયો ગાંડોતૂર બન્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે. હાલ વેરાવળના દરિયાકાંઠે 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. તેમજ પવનના સુસવાટા વચ્ચે ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. ઉનાના રાજપરા બંદર ખાતે ગઇકાલે એક માછીમાર દરિયામાં ગરકાવ થયો હતો. જેનો આજે મૃતદેહ મળી આવ્યો છે. વેરાવળમાં ભારે પવનને કારણે 10થી 12 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. પરંતુ કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ
વાયુ વાવાઝોડું આવે તે પૂર્વે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તો જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વેરાવળ, પોરબંદર અને દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં કરંટના કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. જોકે વાવાઝોડાને પગલે પોરબંદરમાંથી 35 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાના પગલે તંત્ર સાબદુ બન્યુ છે. ત્યારે વાવાઝોડાના પગલે 2 હજાર 251 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાત કરવામાં આવે છોટાઉદેપુરની તો અહીંના 258 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકાના 129 ગામો, ગીર સોમનાથના 189 ગામો, જામનગરના 105 ગામો, જૂનાગઢના 118 ગામોમાં વીજપુરવઠો ખોરવાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણાના 240 ગામો, પાટણના 317 ગામોમાં પણ વીજપુરવઠો ખોરવાતા અને બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડતા લોકોમાં પણ ભારે ભય જોવા મળ્યો હતો. તો સાબરકાંઠાના 135 અને સુરત જિલ્લાના 263 ગામોમાં પણ વીજળી ગુલ થઈ હતી. બીજી તરફ વીજ વિભાગ પણ ખડેપગ છે અને તંત્ર દ્વારા તાત્કાલિક 1 હજાર 924 ગામોમાં વીજ પુરવઠાને પુનઃ શરૂ કરવામાં આવ્યો. તો ખોટકાયેલા 904 જેટલા વીજ ફીડર પૈકી 697 ફીડરને પણ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે 566 અસરગ્રસ્ત વીજપોલ પૈકી 230 જેટલા વીજપોલને તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે.