વાયુ વાવાઝોડાની આફત ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઇ તંત્ર ખડેપગે છે, તો આ તરફ જામનગરમાં પણ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જામનગર જિલ્લામાં કોસ્ટલ વિસ્તારના 25 ગામડાઓને હાઈ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ 13,900 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જામનગરમાં આર્મીની 6 ટીમ અને નેવીના 500 જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે. આ સાથે જ જામનગરના બેડી બંદર પરથી દરિયો ખેડવા માટે ગયેલા 100થી વધુ બોટને પરત બોલાવવામાં આવી છે. જામનગરના બેડી બંદર પર 2 નંબરનુ સિગ્નલ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત જિલ્લામાં GMB, ફિશરીજ, મરીન પોલીસ પણ સક્રિય થઈ છે.
ગુજરાત પર વાયુ વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. સમુદ્રમાં વાયુ વાવાઝોડાની ગતિમાં વધારો થઇ છે ત્યારે વાવાઝોડું વધુ રુદ્ર બને તેવી પણ શક્યતાઓ છે. ત્યારે વાયુ વાવાઝોડું 13 જૂન એટલે કે આવતીકાલે સવારે 5 વાગ્યે 140થી 150 કિલોમીટરની ગતિએ ગુજરાત પર ત્રાટકી શકે છે.
વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના 10 જિલ્લા અને 31 તાલુકાઓને થાય તેવી શક્યતા છે. એટલે કે રાજ્યના 60 લાખ નાગરિકોને વાયુ વાવાઝોડાની અસર થશે. ત્યારે 400 જેટલા ગામડાઓ પર વાવાઝોડાની વ્યાપક અસર થવાની શક્યતા છે. જેને લઇ વ્યવસ્થા તંત્ર પણ સજ્જ બન્યું છે.