તૌકતે વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારમાં ઘૂટણ-ઘૂટણ સુધી પાણી ભરાયા હતા, અનેક લોકોના ઘર અને વાહનોમાં પણ પાણી ઘૂસ્યા
અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાયાના દૃશ્યો
અમદાવાદમાં ચંડોળા તળાવ નજીક ભારે તારાજી
કાચી દુકાનો, મકાનોના સેડ વાવાઝોડામાં ઉડ્યા
અમદાવાદમાં સરસપુર ચાર રસ્તા પાસે વરસાદી પાણી ભરાય ગયા છે. હરિભાઈ દવાખાના પાસે પાણી ભરાય ગયા છે. આથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. તેમજ સરસપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર દિનેશ કુશવાહની ઓફિસમાં પણ પાણી ભરાય ગયું છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ધોલેરામાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાવાઝોડાના કારણે ધોલેરામાં પવન સાથે ભારે વરસાદી માહોલ સર્જાયો હતો. સાથે જ વીજ પૂરવઠો પણ ખોરવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ ભારે વરસાદ અને પવનને કારણે બગોદરા-ભાવનગર વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.
અમદાવાદમાં ચંડોળા તળાવ નજીક ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. કાચી દુકાનો, મકાનોના સેડ વાવાઝોડામાં ઉડ્યા છે. તેમજ અનેક મકાનોના છાપરા ભારે પવનના ઉડી ગયા છે. પવન સાથે વરસાદ અને ભારે પવનને કારણે લોકોની મુશ્કેલી વધી છે. તો આ તરફ નિકોલમાં પણ અનેક જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઈટ પર પાણીના તળાવ ભરાયા હતા.
અમદાવાદના અસ્ટોડિયા વિસ્તારમાં વાવઝોડાની તબાહીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વિશાળ ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું છે. અને આ વૃક્ષ ધરાશાયીના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. એક વ્યક્તિ દબાઇ જતા તંત્ર તેનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.
દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.
હજારોની સંખ્યામાં થાંભલાઓ તૂટી ગયા
69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 વીજ પુરવઠાની સપ્લાઈને ખાસ અસર થઈ છે. તો કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો છે. જ્યાં હવે જનરેટરની જરૂર નથી. 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે.
ભાવનગરમાં વીજ પુરવઠો ફરી શરૂ થયોઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાવનગરમાં વીજ પુરવઠો સમગ્ર રીતે બંધ થઈ ગયો હતો. જે હવે ફરી ચાલુ કરી દેવાયો છે. ભાવનગરમાં ભારે પવનના કારણે લાઈટો ડૂલ થઈ હતી. તો સાથે સફાઈની કામગીરી કરવા માટે શ્રમિકોને મોકલી દેવાયા છે.
પાકના નુકસાન પર મુખ્યમંત્રીનું નિવેદન
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે.