Cyclone Tauktae update Damage to mango crop in Gujarat's Gir
બાગાયત /
ગીર વિસ્તારમાં તૌકતેએ એવી તારાજી મચાવી કે, એક પણ કેરી આંબે લટકી રહી નથી
Team VTV10:43 PM, 18 May 21
| Updated: 11:08 PM, 18 May 21
તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કેસર કેરીના પાકને પણ મોટુંં નુકસાન સર્જાયું છે, ગીર પંથકમાં આંબામાંથી કેરીઓ ખરી પડી હોવાના દૃશ્યો સામે આવ્યા છે
ગીરમાં તૌકતેથી મોટું નુક્સાન
ઉનામાં સૌથી વધારે અસર
કેસર કેરીનો પાક થયો નાસ!
કેસર કેરીનું સૌથી મોટું સરનામું એટલે ગીરનો પંથક. ગીર વિસ્તારમાં પાકતી કેસર કેરીએ ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં નામના મેળવી છે. અહીંથી મોટા પાયે કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતું તૌકતેએ અહીં એવી તારાજી મચાવી કે એક પણ કેરી આંબે લટકી રહી નથી. આંબમાં રહેલી કેરીઓ ખરી પડી છે. આંબાના બગીચા વેરાન બની ગયા છે. એટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
કેસર કેરીના શોખીન લોકો માટે સરનામું બનેલા ગીરના દૃશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાએ બધુ વેરાન બનાવી દીધું છે. કેરીની સિઝન હોવાથી જ્યાં એક દિવસ પહેલા કેરીઓ આંબે લહેરાઈ રહી હતી. ત્યાં તૌકતેના તરખાટથી હાલ એક પણ કેરી આંબે દેખાતી નથી. ક્યાંક વીજપોલ પડ્યા તો ક્યાંક વૃક્ષ પડતા તેનો કચ્ચઘાણ નીકળેલો જોવા મળ્યો છે.
કેરીના પાક, મકાન અને સ્થળાંતરીત લોકોને નુકસાનનું વળતર
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાક તલ, બાજરીના પાકનું પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે. તો જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા તેમને કેશ ડોલ આપવામાં આવશે.
ગુજરાતમાં દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં સૌથી મોટી માહિતી ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણે કુલ 13 મોત થઈ હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાતમાં વરસાદના આંકડાઓ
ગુજરાતમાં 46 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં 6 જેટલા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ઉમરગામમાં 14 ઈંચ વરસાદ સૌથી વધુ નોંધાયો. ગુજરાતના 12 તાલુકામાં 6થી વધુ અને 10 તાલુકા એવા જ્યાં 5 ઈંચથી વધુ વરસાદ છે. તો 96 એવા તાલુકા છે જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
2 દિવસ માટે તંત્રના તમામ કર્મચારીઓ કામે લાગશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, આજની બેઠકમાં એ પણ નિર્ણય થયો છે કે, ગુજરાતના તમામ અસરગ્રસ્ત શહેરોમાં પુરુ તંત્ર રિસ્ટોર કરવાની કામગીરીમાં 2 દિવસ સતત કાર્યરત રહેશે.