તૌકતે વાવાઝોડાની અસરથી અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસ્યો વરસાદ, સૌરાષ્ટ્રના પણ મોટાભાગના પંથકમાં મેઘો મહેરબાન
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ
અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદ
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યો ભારે વરસાદ
રાજ્યમાં તૌકતે વાવાઝોડાનું સંકટ યથાવત છે. ત્યારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના ચાંદખેડા, મણિનગર, નિકોલ, નરોડા સહીત પૂર્વ અમદાવાદમાં વરસાદથી રોડના ખાડા ભરાયા છે. તો સુરત શહેરના પણ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. રાંદેર, અડાજણ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ પહેલા પવન અને ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
સુરતના ગ્રામ્ય વિસ્તારમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી છે. સુરતના બારડોલી-મહુવા પંથકના વાતાવરણમાં પલટો થયો હતો. અને અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો હતો. બારડોલી તેમજ મહુવા વિસ્તારમાં છુટ્ટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.
અરવલ્લીના શામળાજી અને સુરતમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી છે. ભારે પવન સાથે વરસાદથી નુકશાન થયું છે. તેમજ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. કાચા શેડ અને મકાનો પરથી પતરા ઉડ્યા હતાં. શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાઈ થયા છે. આમ વાતાવરણમાં સ્પષ્ટ પલ્ટો જોઇ શકાય છે.
તૌકતે વાવાઝોડાને લઈ દરિયાઈ પટ્ટીના જિલ્લામાં શું છે તૈયારી
રિલાયન્સથી જામનગર-રાજકોટ માર્ગને ગ્રીન કોરિડોર જાહેર કરાશે. વાવાઝોડાની અસરથી ઓક્સિજન સપ્લાય ન ખોરવાય માટે આયોજન કરાયું છે. ઓક્સિજન સપ્લાય જાળવી રાખવા કેન્દ્ર સરકારની સૂચના મળી હોવાની વાત જિલ્લા કલેક્ટરે કરી છે. આ સાથે કલેક્ટરે કહ્યું કે, આર્મી, એરફોર્સ અને નેવીની ટીમને પણ તૈનાત રાખી છે. 200 SSB જવાનો પણ સ્ટેન્ડ બાય છે. અને જરૂર પડ્યે એરફોર્સના હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે. તો ખાસ સમાચારમાં જિલ્લા કલેક્ટરે આંકડો આપ્યો છે કે, વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી 22 ગામના 29 હજાર લોકોનું સ્થળાંતર કરાશે. તો દરિયાકાંઠાની કોવિડ હોસ્પિટલના આઠ અને નવમા માળના દર્દીઓને શિફ્ટ કરાશે.
તૌકતે વાવાઝોડાના કારણે ટ્રેન કરાઈ રદ
તૌકતે વાવાઝોડાને લઈને 56 ટ્રેન રદ કરવામાં આવી છે. 15થી 21મે સુધીની અલગ અલગ 56 ટ્રેન રદ કરી દેવાઈ છે. જેમાં વારાણસી-ઓખા, હાવડા-પોરબંદર, દાદર-ભૂજ ટ્રેન રદ કરી દેવાઈ છે. સાથે મુંબઈ સેન્ટ્રલ-ઓખા સહિતની 56 ટ્રેન રદ કરવામાં આવી છે. ઓખા-રામેશ્વર-એર્નાકુલમની ટ્રેન અમદાવાદથી ઉપડશે.