અમદાવાદઃ અરબી સમુદ્રમાં સાગર સાઈક્લોન સર્જાયું છે. દરિયામાં પવનની ઝડપ વધવાની શક્યતાને લઇને ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. ગુજરાતના વિવિધ બંદરો પર સિગ્નલો લગાવવામાં આવ્યા છે.
જેમાં નવલખી બંદર અને જાફરાબાદ બંદર પર 2 નંબરનું જ્યારે ઓખા બંદર પોરબંદર બંદર અને જામનગર બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા આ ચક્રવાતને 'સાગર' નામ આપવામાં આવ્યું છે.
યમનના દરિયામાં ચાલી રહેલ 'સાગર' નામના વાવાઝોડાને લઈને ગુજરાતમાં તંત્ર સતર્ક થયું છે. નવસારી જિલ્લામાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયા કાંઠાના ગામોમાં સાવચેત રહેવા માટે તાકિદ કરવામાં આવી છે. તમામ ગામોના તલાટીમંત્રીઓને ફરજ પર હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યાં છે.
સાગર વાવાઝોડાને લઇને રાહત કમિશ્નરનું નિવેદન
સાગર વાવાઝોડાને લઈને રાહત કમિશ્નર દ્વારા માછીમારોને યમનના દરિયામાં માછીમારી કરવા ન જવા માટે સૂચના આપવામાં આવી છે. રાહત કમિશ્નરે જણાવ્યું હતું કે સાગર વાવાઝોડાની અસર 36 કલાક સુધી રહેવાની શક્યતા હોવાથી ગુજરાતમાં પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
હજુ ગુજરાતમાં તાપમાન વધશે
રાજ્યમાં કાળઝાળ ગરમીને લઇને મહત્તમ તાપમાન યથાવત્ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરાઈ છે. આગામી દિવસોમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી રહેશે.
કાળઝાળ ગરમીને લઇને ગુજરાતમાં તાપમાન યથાવત્ છે. ત્યારે હજુ ગુજરાતમાં તાપમાન વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 44 ડિગ્રી તાપમાન રહેશે. અને આગામી દિવસોમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી રહેશે. અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.