આંધ્રપ્રદેશના તટીય વિસ્તારમાં ચક્રવાત પેથાઈ ત્રાટક્યુ. પેથાઈ ત્રાટકતા ભારે વરસાદ પણ પડ્યો. જે બાદ અનેક વિસ્તારમાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા. તો આ ચક્રવાત ત્રાટકતા એક વ્યક્તિનું પણ મોત થયું છે.
આ તોફાનના પગલે અનેક ટ્રેન અને વિમાન સેવાને પણ અસર થઈ. ચક્રાવતને કારણે સૌથી વધુ પૂર્વ ગોદાવરી જિલ્લો પ્રભાવિત થયો છે. તો તોફાનના પગલે વીસ હજારથી વધુ લોકોને રાહત શિબિરમાં સ્થળાંત કરવાનો વારો આવ્યો.
પેથાઈ ચક્રવાત ત્રાટકતા 85 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. ભારે પવન ફૂંકાવાના પગલે પૂર્વ ગોદારી જિલ્લાના કોત્રેનિકોના તલ્લારેવુ અને મલિકપુરમમાં વીજળીના થાંભલા સહિત અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા.
જેના પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ. જો કે આ ચક્રવાત ત્રાટકતા કોઈ મોટી જાનહાનિ થઈ નથી. તો ચક્રવાત પેથાઈ ત્રાટક્યા બાદ રાજ્યમાં બચાવ અને રાહત કામગીરી પણ હાથ ધરાઈ. રાજ્ય સરકારના રિયલ ટાઈમ ગવર્નેસ સોસાયટીએ તમામ તટીય જિલ્લામાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવાયુ હતું. જ્યારે ચક્રવાતના પગલે બચાવ દળ પણ તૈનાત કરી દેવામાં આવ્યું હતું.