આંધ્રપ્રદેશના કાકીનાડા અને ઓંગોલ વિસ્તારમાં આવતીકાલે ભયંકર વાવાઝોડુ ત્રાટકે એવી આશંકા સેવવામાં આવી છે. જેના પગલે દરિયાઈ તટ પર જવાનો પણ તૈનાત કરવામા આવ્યા અને હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું. તો ભારે વાવાઝોડાની આગાહીના પગલે માછીમારોને પણ દરિયો ના ખેડવા માટે સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉંડુ દબાણ ભારે ચક્રવાત સર્જી શકે છે. આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં કોઈ પણ પ્રકારની મદદ માટે બોટ અને હેલિકોપ્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. તટરક્ષક બળે સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને સૂચના મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે માછીમારોની બોટોને સુરક્ષિત પરત લાવવા માટે પણ સુરક્ષાબળની બે બોટ પણ સમુદ્રમાં મોકલી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં તિતલી વાવાઝોડુના કારણે ભારે તબાહી જોવા મળી હતી. જેમાં ઘણા લોકોના મોત નિપજ્યાં હતા.