અરબી સમુદ્રમાં થયેલ લો પ્રેશરને લઈને ગુજરાતના દરિયા કાંઠાને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. નિસર્ગ વાવાઝોડું સુરતથી 920 કિમી દૂર છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સંભવિત વાવાઝોડું દક્ષિણ ગુજરાત તરફ ફંટાઈ શકે છે. જેના કારણે સુરત, નવસારી અને વલસાડના દરિયાકાંઠાને અલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે સુરત મનપા કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે, સુરતમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
લોકોને દરિયા કિનારે ન જવા અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ
સંભવિત વાવાઝોડાની શક્યતાને લઇને વલસાડ અને નવસારી તંત્ર પણ એક્શન મોડમાં
નિસર્ગ વાવાઝોડાને પગલે સુરતનું તંત્ર અલર્ટ થઇ ગયું છે. ત્યારે સુવાલીના દરિયા કિનારે હાલ 7 કિમી ઝડપે પવન ચાલી રહ્યો છે. દરિયામાં સામાન્ય કરંટ દેખાઇ રહ્યો છે. ત્યારે આ નિસર્ગ વાવાઝોડાને લઇ સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ટ્વીટ કરી કહ્યું કે, 3 જૂને સુરતમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેથી હું લોકોને વિનંદી કરું છું કે, લોકો ઘરની બહાર ન નિકળવાનું સાહસ ન કરે. નબળા સ્ટ્રક્ચર, હોર્ડિંગ્સ, ઝાડ અને વિદ્યુત ઉપકરણોથી દૂર રહેવા માટે અપીલ કરું છું.
અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, શહેરમાં આપણા બધાએ 3 મેના રોજ સવારે વાવાઝોડાના કારણે સાવચેતી રાખવી જોઇએ. બધા હાઇરાઇઝ બાંધકામ સાઇટ્સ અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોની કાળજી લેવી જ જોઇએ. સાથે કોવિડ 19ને ધ્યાનમાં રાખીને, માસ્ક, સામાજિક અંતરની પણ કાળજી લેવી આવશ્યક છે.
The wind speed will be around 100kms per hour. I request people not to venture out on 3rd June. Stay Safe Indoors away from hoardings, weak structures, trees, light poles
— Commissioner SMC (@CommissionerSMC) June 1, 2020
સંભવિત વાવાઝોડાને લઇ સુરત કલેક્ટરે જાહેર કર્યો ઓડિયો
સુરત કલેક્ટરે ઓડિયોમાં કહ્યું કે, ડુમ્મસ, સુંવાળી, ડભારીના બીચ લોકો માટે બંધ કરાયા છે. 3 જૂને જિલ્લામાં મહત્તમ 90 કિમીની સ્પીડે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે. 3 જૂનના સાંજે-મોડી રાત્રે વલસાડથી મહારાષ્ટ્રના રાયગઢ વચ્ચે પસાર થવાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા સમયે સામાન્યથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. કાચા મકાનો-નિચાણવાળા વિસ્તારોને શેલ્ટર હોમમાં જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
સુરતના દરિયાકાંઠે NDRF ટીમ તૈનાત
ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને તંત્ર એલર્ટ બન્યું છે. અગમચેતીના ભાગરૂપે તંત્ર તમામ પગલા લઇ રહ્યું છે. સુરતના સુંવાલી ખાતે NDRF ટીમ તૈનાત રહેશે. વાવાઝોડાને પગલે કિનારાના 30 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે. સુવાલીમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અને દરિયાઇ વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે.
સંભવિત વાવાઝોડાની શક્યતાને લઇને વલસાડ અને નવસારી તંત્ર પણ એક્શન મોડમાં
દક્ષિણ ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની શક્યતાને લઇ વલસાડ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. વલસાડમાં દરિયા કિનારાના વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. જિલ્લાના દરિયાકિનારે આવેલા 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે વલસાડના 18, પારડીના 4 અને ઉમરગામના 13 ગામો એલર્ટ કરવામાં આવ્યાં છે. SP અને DDOએ દરિયાકિનારાના ગામોની મુલાકાત લીધી હતી. સંભવિત વાવાઝોડાને લઇ કામગીરીનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કાંઠાના ગામોના કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.
સતર્કતાના ભાગરૂપે વલસાડ જિલ્લાને NDRFની ટીમ પણ ફાળવી દેવાઈ છે. જિલ્લામાં વલસાડ શહેર, પારડી અને ઉંમરગામ તાલુકા દરિયાકિનારે આવેલા છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર અનેક ગામો આવેલા છે. આથી વલસાડનું તંત્ર વિશેષ સાવધાની રાખી રહ્યું છે.
તેમજ નવસારી જિલ્લાના 16 ગામોના સરપંચો અને તલાટીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત ગણદેવી અને જલાલપોરમાં નોડલ અધિકારીઓની પણ નિમણૂંક કરાઈ છે. તો બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રશાસન સજ્જ થયું છે. NDRFની ટીમોને સક્રિય કરવામાં આવી છે.