ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડું વલસાડથી 535 કિમી અને સુરતથી 588 કિમી દૂર છે. હાલ વાવાઝોડું ગોવાના પણજી નજીકથી પસાર થઈ રહ્યું છે. આ વાવાઝોડું 3 જૂને બપોર બાદ દરિયા કિનારે હીટ કરી શકે છે. જો કે વાવાઝોડાંના રાજ્યમાં તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. જેને લઇને નવસારીના 42 અને વલસાડના 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
'નિસર્ગ' વાવાઝોડાની શક્યતાને લઇ વલસાડનું તંત્ર પણ અલર્ટ થઇ ગયું છે. જિલ્લાના દરિયા કિનારે આવેલા 35 ગામોને અલર્ટ કરાયા છે. વલસાડના 18, પારડીના 4 અને ઉમરગામના 13 ગામોને અલર્ટ કરાયા છે. NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. હાલ તિથલનો દરિયો શાંત જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા આદેશ કરાયો છે.
'નિસર્ગ' વાવાઝોડાને પગલે નવસારીના વાતાવરણમાં પલટો
નવસારીમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. 'નિસર્ગ' વાવાઝોડાને પગલે નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
વાવાઝોડાને લઇને નવસારી જિલ્લાના 42 ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં NDRF અને SDRFની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. વહીવટી તંત્રએ સંભવિત વાવાઝોડાના પગલે ગામ લોકોને અલર્ટ કરી દીધા છે. જોકે નવસારીનો દરિયો હાલ શાંત દેખાઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 159 ગામો એલર્ટ કરાયા
સંભવિત નિસર્ગ વાવાઝોડાની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામોને અલર્ટ કરી દેવાયા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થશે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થઇ શકે છે. વાવાઝોડાની લો લાઇન એરિયામાં આવતા 159 ગામનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેતે જિલ્લાના કલેકટરને જવાબદારી સોંપવામાં આવી છે.