સંભવિત વાવાઝોડા પહેલા રાજ્યમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વાવાઝોડાના પ્રકોપને કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ તાપીના વાલોદમાં થયો છે અહીં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદી માહૌલ સાથે આવનારા 24 કલાક ભારે છે. તોફીની પવન અને વરસાદી ઝાપટા ગુજરાતને ઘમરોળશે. જો વાવાઝોડુ નહીં પણ ત્રાટકે તો પણ વરાસદ ઘણું નુકસાન કરશે એવી વકી છે.
ગુજરાત માટે દરિયાઈ આફત
વરસાદ સાથે ઘમરોળશે ગુજરાતને
24 કલાક ગુજરાત માથે ભારે
ક્યાં કેટલો વરસાદ પડ્યો
ભાવનગરમાં 1 ઈંચ, ધારીમાં 1 ઈંચ વરસાદ, મહુવામમાં પોણો ઈંચ, લિલિયામાં પોણો ઈંચ વરાસદ, વ્યારામાં પોણો ઈંચ, દહેગામમાં પોણો ઈંચ વરસાદ, કડાણામાં પોણો ઈંચ, ડાંગમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેથી ગુજરાતના દરિયા કિનારે નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. વાવાઝોડાને લઈને સરકાર અલર્ટ થઈ છે.. વડોદરાનાં 9 જિલ્લામાં NDRFની તૈનાત કરાઈ છે.. જ્યારે વડોદરામાં NDRFની 15 ટીમો સ્ટેન્ડબાય રખાઈ છે.. હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં NDRFની 10 ટીમ, 2 ટીમ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં તૈનાત કરાઈ છે. વલસાડમાં 2, ખંભાત, ભરૂચ, ખેડા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર નવસારી અને સુરતમાં 1-1 NDRFની ટીમ તૈનાત કરાઈ છે.
અહીં આ તારીખે પડશે વરસાદ
ગુજરાતના દરિયા કિનારે 3 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
3 જૂને નવસારી, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, રાજકોટમાં વરસાદ થઈ શકે છે.
4 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત અને ભરૂચમાં વરસાદ થઈ શકે છે.
5 જૂને ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડુ વલસાડથી 535 કિમી અને સુરતથી 588 કિમી દૂર છે. હાલ વાવાઝોડુ ગોવાના પણજી નજીકથી પસાર થઈ રહ્યું છે.. આ વાવાઝોડુ 3 જૂને બપોર બાદ દરિયા કિનારે હીટ કરી શકે છે. મહારાષ્ટ્રના પાલઘર અને વસઈ વચ્ચેના દરિયા કિનારે વાવાઝોડુ ટકરાય તેવી શક્યતા છે. અને ત્યાર બાદ વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશી શકે છે. મહારાષ્ટ્રના પાલઘર, વસઈ, નાસિક અને મુંબઈ શહેરમાં વાવાઝોડાના કારણે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, વ્યારા, આહવા અને સુરતમાં વરસાદ થઈ શકે છે. બીજી તરફ વડોદરા, ગોધરા અને પંચમહાલમાં પણ વરસાદ થઈ શકે છે.
દ્વારકાના દરિયામાં કરંટ
સંભવિત વાવાઝોડાને લઇને દ્વારકાના દરિયા કિનારે સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકા, ઓખા, હર્ષદ દરિયા કિનારે વાતાવરણ સામાન્ય છે..તો ઓખા બંદરે 1 નંબરનું સિગ્નલ યથાવત છે. જ્યારે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો તમામ અધિકારીઓને પણ ફરજ પર રહેવાની સૂચના અપાઇ છે. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા દ્વારકાનું તંત્ર સજ્જ છે.
સંભવિત નિસર્ગ વાવાઝોડાની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામોને અલર્ટ કરી દેવાયા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ પ્રભાવિત થશે. અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના 50 ગામો પ્રભાવિત થઇ શકે છે. વાવાઝોડાની લો લાઇન એરિયામાં આવતા 159 ગામનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેતે જિલ્લાના કલેકટરને જવાબદારી સોંપવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. જે ડીપ વાવાઝોડું બનશે. અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે.
દીવ અને ગીર સોમનાથના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર અલર્ટ થયું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.. હાલમાં દીવ અને સોમનાથના દરિયામાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારો દ્વારા બંદરે બોટો લાંગરી દેવામાં આવી છે.
ભાવનગર તંત્ર સંભવિત વાવાઝોડાને લઇ અલર્ટ
હાલ દરિયો શાંત જોવા મળ્યો. માછીમારોને દરિયો ન ખેડવા અપાઇ સૂચના. ઘોઘાના દરિયા કિનારે બોટો લાંગરવામાં આવી છે. તમામ બંદોરો પર 1 નંબરનુ સિંગ્નલ લગાવાયુ છે. જિલ્લાના 35 થી વધુ ગામોમા એલર્ટ અપાયું છે.
વાતાવરણમાં પલટો
દક્ષિણ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની આગાહીના પગલે તાપીના વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડી રહ્યો છે. વ્યારા, વાલોડ સહિતના તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે.
કોસ્ટલ વિસ્તારમાં 72 ગામોમાં શેલ્ટર હોમની તૈયારી
સંભવિત વાવાઝોડા નિસર્ગની આગાહીને લઇ કચ્છ તંત્ર અલર્ટ છે. ક્ચ્છ તંત્ર દ્વારા સલામતી અને સ્થળાંતર માટે નિર્ણય લેવાયા છે. જેમાં વાવાઝોડાના પગલે કોસ્ટલ વિસ્તારની યાદી બનાવાઇ છએ. કોસ્ટલ વિસ્તારના 72 ગામોમાં શેલ્ટર હોમની તૈયારી શરૂ કરી દેવાઇ છે.
ભરૂચમાં દરિયાકાંઠા અલર્ટ પર
સંભવિત વાવાઝોડાને લઇ ભરૂચમાં તંત્ર અલર્ટ થઇ ગયું છે. વાગરા, જંબુસરના ગામોને અલર્ટ કરાયા છે. તો હાંસોટના દરિયા કાંઠાના ગામોને પણ અલર્ટ કરી દેવાયા છે. હાલ NDRF, SDRFની ટીમો દરિયાઇ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે દહેજ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે તો 3 મેના લોકોને ઘરોની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી છે. અને જિલ્લા-તાલુકા કક્ષાએ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. તો સાથે જ વન વિભાગ, આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરાઇ છે. અને તલાટી, સરપંચો અને મામલતદારો પણ અલર્ટ થઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચન કરવામાં આવ્યું છે. તો શહેરી વિસ્તારોમાં હોર્ડિંગ્સ ઉતારવા સૂચન કરાયા છે.
માંગરોળના દરિયે અલર્ટ
વાવાઝોડાને લઇને તંત્ર અલર્ટ થઇ ગયું છે. હાલ માંગરોળ દરિયામાં સામાન્ટ કરંટ જોવા મળી રહ્યો છે. તો માંગરોળ બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે દરિયામાં માછીમારી કરવા ગયેલી તમામ બોટોને હાલ પરત બોલાવી લેવામાં આવી છે.
વડોદરામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.. નિસર્ગ વાવાઝોડાની મધ્ય ગુજરાત પર પણ અસર જોવા મળી રહી છે. 3, 4 અને 5 જૂને વડોદરામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયુ છે
સુરતમાં તડામાર તૈયારીઓ
સુરતમાં સંભવિત વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થી ગઈ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના આકાશમાં વાદળો છવાયા છે. હાલ પવન શાંત છે, દરિયો પણ શાંત છે
સુરત શહેર જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક થઈ ગયુ છે. સ્મીમેર હોસ્પિટલ હાઇ એલર્ટ ઉપર મુકાઈ છે. ઓલપાડ ચોર્યાસી તાલુકાના 33 ગામો એલર્ટ કરાયા છે. ડુમસ, સુવાલી અને ડભારીના બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા છે.
વલસાડના દરિયે કરંટ
'નિસર્ગ' વાવાઝોડાની શક્યતાને લઇ વલસાડનું તંત્ર પણ અલર્ટ થઇ ગયું છે. જિલ્લાના દરિયા કિનારે આવેલા 35 ગામોને અલર્ટ કરાયા છે. વલસાડના 18, પારડીના 4 અને ઉમરગામના 13 ગામોને અલર્ટ કરાયા છે. NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. હાલ તિથલનો દરિયો શાંત જોવા મળી રહ્યો છે. તો તંત્ર દ્વારા પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા આદેશ કરાયો છે.
નવસારીમાં 42 ગામ અલર્ટ પર
નવસારીમાં કાંઠા વિસ્તારના દરિયા કિનારે રહેતા લોકોનો જીવ તાળવે ચોંટાડતું અરબી સમુદ્ર માં ઉભું થયેલું નિસર્ગ નામનું વાવાઝુડું દક્ષિણ ગુજરાતના દરિયા પર ટકરાશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે જેને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે જિલ્લા ના 42 ગામો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને એન ડી આર એફ ની ટિમ તૈનાત કરી દેવા માં આવી છે 42 ગામડાઓના કાચા મકાનો માં રહેતા લોકોને પણ એલર્ટ કરી દીધા છે સાથે પતરા વાળા ઘરો ના પતરા વાવાઝુડા ને કારણે ઉડી શકે છે તેમજ વધુ વરસાદ પડવાની સંભાવનાઓ પણ બાંધવામાં આવી છે.
અરવલ્લીમાં વરસાદ
અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. બાયડ અને માલપુર તાલુકામાં રાત્રે ભારે વરસાદ થયો છે. તો વરસાદના કારણે બાયડ તાલુકામાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જ્યારે વરસાદથી મકાઈના પાકને પણ ભારે નુકસાન થયું છે. વાવાઝોડાની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.