અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે.
સુરતના કતારગામ અને અમરોલી વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. દિવાળીના પર્વમાં વરસાદ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફરવા નીકળેલા લોકો વરસાદ શરૂ થતા મુશ્કેલીમાં મુકાયા હતા.
વલસાડમાં વરસાદથી ખેતીને નુકસાન
ક્યાર વાવાઝોડાએ વલસાડ જિલ્લાની ખેતી નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં આવેલા પલટાને લીધે તેમ જ સતત ત્રણ દિવસથી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવા નો વારો આવ્યો છે. જિલ્લાના મુખ્ય પાક ડાંગરની કાપણીની સીઝન ચાલી રહી હતી અને તે વખતે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ના મોઢા સુધી આવેલો કોળીયો છીનવાઈ ગયો છે.
નવસારી સહિત જિલ્લાઓમાં વરસાદ
નવસારી શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જ્યારે ચીખલી પંથકમાં ભારે પવનથી ઘરોના પતરા ઉડ્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. કમોસમી વરસાદથી ખેતીવાડીને નુકસાન થવાનો ડર છે જેમાં ખાસ કરીને હાલમાં સીઝન પ્રમાણે બાગાયતી, શેરડી, ડાંગરના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
મોરબીમાં ગાજવીજ સાથે વરસાદ
ત્યારે મોરબીના ટંકારામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આ કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને વ્યાપક પ્રણામમાં નુકસાનની શક્યતા સેવાઈ રહી છે.
ભરૂચમાં વરસાદી માહોલ
ક્યાર વાવાઝોડાને પગલે ભરૂચમાં વરસાદી માહોલ સર્જાયો છે. સતત ચાર દિવસથી ભરૂચમાં વરસાદી માહોલ સર્જાયો છે. .ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ વર્સ્યો છે. .ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. જો કે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. .
જામનગરના વિસ્તારોમાં વરસાદ
રાજ્યભારમાં હવામાન વિભાગની આગાહીના પગલે ઠેર - ઠેર વરસાદ થઇ રહ્યો છે. જેના પગલે જામનગર જિલ્લામાં વાતાવરણ પલટાયું છે. જામનગર સહિતના ગ્રામ્ય વિસ્તારો ધ્રોલ અને જોડિયા પંથકમાં ઝાપટા પડ્યાં છે. તેમજ આ રીતે વધુ કમોસમી વરસાદ થશે તો ખરીફ પાક બગાડશે.
ખેડાના વાતાવરણમાં પલટો
આ બાજુ ખેડાના ગળતેશ્વરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ખેડાના સેવાલીયા પંથકમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જેથી અહીં પણ ખેડૂતો ચિંતિત થયા છે. ખાસ કરીને અહીં ડાંગર સહિતના ઉભા પાકને નુકસાનની સંભાવના છે.
અમરેલી પંથકના ગામમાં કરા પડ્યા
અમરેલીના વાતાવરણમાં સોમવારની મોડી સાંજે પલટો આવ્યો હતો અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ તરફ અમરેલીના કેટલાક પંથકમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા. ખાસ કરીને વડીયા, મોરવાડા, અર્જનસુખ, બરવાળા તથા હનુમાન ખીજડિયા ગામે વરસાદી ઝાપડા પડ્યા હતા.
વરસાદની આગાહી, ઠંડીનું જોર પણ વધશે
રાજ્યમાં ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. જોકે હજુ પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ આવે તેવી શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. એક નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. જ્યારે ક્યાર વાવાઝોડાના કારણે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, દ્વારકા અને કચ્છમાં વરસાદ આવે તેવી શક્યતા છે. ક્યાર વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવવાના કારણે વેરાવળ, પોરબંદર, અમરેલીના બંદરો પર બે નંબરનું સિગ્નલ અપાયું છે.