ભારતના પૂર્વ દરિયાકિનારે જવાદ વાવાઝોડાને લઈને મોટા રાહતના સમાચાર આવ્યા છે, જે બાદ ઓડિશા અને આંધ્ર પ્રદેશના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ભારતમા તબાહી ટળી
જવાદ વાવાઝોડું પડ્યું કમજોર
પૂર્વના રાજ્યોના લોકોએ લીધો રાહતનો શ્વાસ
ભારતનાં માથેથી મોટું સંકટ ટળ્યું
ભારતમા ડિસેમ્બરની હાડ થિજવતી ઠંડીની વચ્ચે ચક્રવાતી તૂફાન જવાદનો ખતરો મંડરાઈ રહ્યો હતો જે હવે ટળી ગયો છે. ભારતીય મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર વાવાઝોડું જવાદ હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું છે અને રવિવારે પૂરી પહોંચતા પહેલા કમજોર પડી જશે તેવી પૂરી સંભાવના છે. મોસમની વિભાગની આ આગાહી બાદ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે વાવાઝોડું જવાદ
હવામાન વિભાગનું માનવું છે કે રવિવારે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ જશે. અને બપોર બાદ પૂરીનાં દરિયાકિનારા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે આ વાવાઝોડાનું નામ સાઉદી આરબ દ્વારા જવાદ રાખવામાં આવ્યું હતું જેનો અર્થ થાય છે ઉદાર અથવા દયાળુ.
મોટો ખતરો ટળ્યો
30 નવેમ્બરનાં રોજ આ વાવાઝોડું પેદા થયું હતું અને શુક્રવારે ચક્રવાતમાં ફેરવાઇ ગયું હતું જે બાદ ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું હતું. ઓડિશાન કેટલાક ગામડાઓ પણ ખાલી કરાવવાની નોબત આવી હતી. ત્યારે હવે ચક્રવાત ત્રાટકશે નહીં તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
અતિભારે વરસાદની આગાહી
જોકે તેની અસર પૂર્વનાં રાજ્યોમાં જોવા તો મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટિય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રવિ અને સોમવારે આસામ, મેઘાલય, ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે અને દરિયામાં માછીમારો ન જવા માટે આદેશ આપવામાં આવ્યા છે.