ત્રણ કિલો મીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
અરબ સાગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ‘સાયક્લૉનિક ઍક્ટિવિટી’ જોવા મળી રહી છે. અરબ સાગરમાં ધીમે-ધીમે વાવાઝોડું જોર પકડતું જઈ રહ્યું છે. હાલ વાવાઝોડું આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને અંતિમ અપડેટ અનુસાર તે ગુજરાતના પોરબંદરથી દક્ષિણ-પૂર્વ દિશામાં 630 કિલોમીટરના અંતરે છે.
વાવાઝોડું બિપરજોય હજુ વધુ ખતરનાક બનશે
આ મામલે ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે, ચક્રવાતી તોફાન બિપોરજોય આગામી 24 કલાકમાં હજી વધારે તાકતવર બને તેવી સંભાવના છે. આ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે. IMDએ એક ટ્વિટમાં જણાવ્યું કે, '''બિપોરજોય' વાવાઝોડું ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે, આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું હજી વધારે તાકતવર બની શકે છે અને તે ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ''
Cyclone Biparjoy Live Updates: Cyclonic storm likely to intensify further in next 24 hours
તિથલ બીચ 14 જૂન સુધી બંધ
વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના મામલતદારે જણાવ્યું છે કે, "અમે માછીમારોને દરિયામાં ન જવા કહ્યું હતું અને તેઓ બધા પાછા આવી ગયા છે. જો જરૂર પડશે તો દરિયાકાંઠાની નજીક આવેલા ગામડાઓના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે, અમે 14 જૂન સુધી તિથલ બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દીધો છે. વલસાડના ત્રણ કિલો મીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.''
હવામાન વિભાગે માછીમારોને આપી હતી સલાહ
આ અગાઉ આગાણી 36 કલાકમાં ચક્રવાત બિપોરજોયના વધુ તેજ થવાની આગાહી સાથે હવામાન વિભાગે માછીમારોને સલાહ આપી હતી કે તેઓ કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપના દરિયાકાંઠે દરિયામાં ન જાય. કેરળના જે જિલ્લાઓમાં શુક્રવારે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુરનો સમાવેશ થાય છે.