રસ્તા પર જઈ રહેલી સાયકલ સવારને જાળવવાની જવાબદારી વાહન ચાલકોની છે. વાહન ચાલકો મનફાવે તેવી રીતે ડ્રાઈવિંગ કરીને સાયકલ સવારનું જીવન જોખમમાં ન મૂકી શકે, તે પણ વાહન ચાલક ગણાય છે અને તેને કંઈ પણ થાય તો તેની જવાબદારી જે તે વાહન ચાલકની હોય છે અને તેને માટે તેને દંડ સાથે સજા પણ થઈ શકે છે. દિલ્હીની કોર્ટે આ સંબંધમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે.
સાયકલ ડેના અવસર પર દિલ્લી કોર્ટેનો મહત્વનો નિર્ણય
શનિવારે ઈન્ટરનેશનલ સાયકલ ડેના અવસર પર દિલ્લીની એક કોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાયકલ સવારના પરિવારને 38 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ આપ્યો હતો. મૃતકના પરિવારને લાખોનું વળતર આપતાં કોર્ટે કડક અવલોકન કર્યું કે રસ્તા પર સાઈકલ સવારને પણ ડ્રાઈવર તરીકે જ ગણવો જોઈએ. દિલ્હીના કડકડડુમા વાહન અકસ્માત દાવા ટ્રિબ્યુનલના જસ્ટીસ હારુન પ્રતાપની કોર્ટે આ મામલે સરકાર અને લોકોની જાગૃતિ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હીના રસ્તાઓ પર સાયકલ ચલાવવા માટે કેટલાક નિયમો છે. તેના અમલીકરણની પ્રથમ જવાબદારી સરકારની છે. સરકારે સાયકલ ટ્રેક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. પરંતુ, અત્યાર સુધી, તે યોજના હજુ પુરી થઈ નથી જ્યાં પણ ટ્રેક બનાવવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. ટ્રાફિક પોલીસે પણ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. આ અંગે જાગૃતિ અભિયાન ચલાવવાની જવાબદારી પણ સરકારી વિભાગની છે.
શું બની હતી ઘટના
દેવેન્દ્ર નામનો યુવાન સોનિયા વિહાર વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ડિલિવરી પૂરી પાડતો હતો. 27 જુલાઈ 2021ના રોજ એક પૂરપાટ ઝડપે આવતી કારે તેની સાઈકલને ટક્કર મારી હતી જેમાં તેનું મોત થયું હતું.
કોર્ટે ચુકવ્યું 38 લાખનું વળતર
દિલ્હી કોર્ટે મૃતકના પરિવારને 38 લાખનું વળતર ચુકવી આપવાનો આદેશ આપ્યો છે. 25 વર્ષીય દેવેન્દ્ર તેની માતા અને ચાર નાના ભાઈ-બહેનનું પેટ ભરતો હતો, તે ઘરનો એકમાત્ર સભ્ય હતો, દેવેન્દ્રના મોતને પગલે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ હતી, કોર્ટે આ વાતની ગંભીર નોંધ લઈને પરિવારની મોટી આર્થિક મદદ પૂરી પાડતો આદેશ આપ્યો હતો.