Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરતા પહેલાં એ ચકાસી લેવું કે શું ખરેખર તે નંબર સાચો છે કે ખોટો. નહીં તો ફ્રોડના શિકાર થઇ જશો.
Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરતા પહેલાં સાવધાન
કોરોના કાળ બાદ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયામાં વધારો
Cyber Dost એ ટ્વિટ કરીને લોકોને ચેતવ્યાં
કોરોના મહામારી બાદ હવે આપણા તમામના જીવનમાં અનેક મોટા ફેરફારો થયા છે. ત્યારે કોરોના ઇફેક્ટ બાદ હવે મોટા ભાગના લોકો રોકડ વ્યવહારો કરવાને બદલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું વધારે પસંદ કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ, UPI પેમેન્ટ્સનું ચલણ પણ વધી ગયું છે. ત્યારે આવી સ્થિતિમાં સાયબર ફ્રોડ કરનારા લોકોની સંખ્યામાં પણ વધી ગઇ છે. લોકોને છેતરવા માટે આ લોકો અલગ-અલગ નુસખાઓ અપનાવતા હોય છે.
આજકાલ છેતરપિંડી કરનારા લોકો ગ્રાહકોને ખોટા કસ્ટમર કેર નંબર અને હેલ્પલાઇન નંબરના આધારે વધારે છેતરવાની કોશિશ કરતા હોય છે. આજના સમયમાં ઘણાં લોકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગમાં કંઇ પણ સમસ્યા ઉભી થાય કે તુરંત ઇન્ટરનેટના આધારે કસ્ટમર કેર નંબર અથવા તો હેલ્પલાઇન નંબર સર્ચ કરીને તેની પર કોલ કરતા હોય છે. પરંતુ ઘણી વખત લોકોને એ નથી ખબર હોતી કે આખરે શું આ નંબર સાચો છે કે પછી ખોટો. કારણ કે છેતરપિંડી કરનારા લોકો ખોટા નંબરો ઓનલાઇન અપલોડ કરતા હોય છે જેને લોકો સાચો નંબર માની લે છે. જેથી આ નંબર પર કૉલ કરવા પર તે લોકો તમારી બેંકિંગ ડિટેઇલ્સ (માહિતી) એકત્ર કરીને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે.
નકલી વેબસાઈટના આધારે થઇ રહી છે છેતરપિંડી
આ સિવાય છેતરપિંડી કરનારાઓ નકલી વેબસાઈટ દ્વારા પણ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે. જો કે, સરકાર દ્વારા લોકોને એલર્ટ કરવા માટે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને સાયબર ક્રાઈમથી બચાવવા અને તેમના પૈસા સુરક્ષિત રાખવા માટે ગૃહ મંત્રાલયે 'સાયબર દોસ્ત' (Cyber Dost) નામનું એક વિશેષ અભિયાન ચલાવ્યું છે.
સાયબર દોસ્ત (Cyber Dost) એ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે, 'આજકાલ ઘણા સાયબર ગુનેગારો નકલી કસ્ટમર કેર નંબર અને હેલ્પલાઇન નંબર અપલોડ કરે છે. આથી જ્યારે લોકો તેમની ફરિયાદ નોંધવા માટે આ નંબરો પર ફોન કરે છે ત્યારે આ જ ગુનેગારો લોકો પાસેથી તમામ મહત્વપૂર્ણ માહિતી લઈને તેમના બેંક એકાઉન્ટને ખાલી કરી દે છે અને આ રીતે નકલી વેબસાઇટ અને નકલી હેલ્પલાઇન નંબરના આધારે સામાન્ય નાગરિકને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવી દે છે.'