શહેરમાં સંખ્યાબંધ લોકો સાયબર ક્રાઈમનો શિકાર બની રહ્યા છે. અવનવી ટેકનિકનો ઉપયોગ કરીને ગઠિયાઓ લાખો રૂપિયાનું ચીટિંગ કરે છે. શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી કૈલાસ દર્શન હાઉસિંગ ડેવલોપમેન્ટ નામની કંપનીનાં નેટ બેન્કિંગનો લોગ ઈન આઇડી પાસવર્ડ હેક કર્યા બાદ બેન્કના રજિસ્ટર થયેલા મોબાઇલ ફોનના સીમાકાર્ડને બંધ કરાવીને તબક્કાવાર ૫૨.૭૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સંજય ટાવરમાં રહેતા અને સેટેલાઇટના સાર્થક એનેક્ષ કોમ્પ્લેક્સમાં કૈલાસ દર્શન હાઉસિંગ ડેવલોપમેન્ટ નામની કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતા પ્રવીણભાઇ ઠાકોરભાઇ સોલંકીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૫૨.૭૫ લાખના ચીટિંગની ફરિયાદ કરી છે.
ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે પ્રવીણભાઇ કૈલાસ દર્શન હાઉસિંગ ડેવલોપમેન્ટમાં છેલ્લાં ૧૮ વર્ષથી નોકરી કરે છે અને બે વર્ષ પહેલાં કંપનીના નાણાકીય વ્યવહાર માટે ડીસીબી બેન્કમાં ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટ અને બીજું કરન્ટ એકાઉન્ટનું ખાતું ખોલાવ્યું હતું. કંપનીનો નોટ બેન્કિંગથી થતો નાણાકીય વ્યવહાર પ્રવીણભાઈ સંભાળે છે.
તારીખ ૨૮ મે ૨૦૧૯ના રોજ પ્રવીણભાઇ ઘરે હાજર હતા, ત્યારે ઓફિસના કર્મચારીનો તેમના પર ફોન આવ્યો હતો કે તમારો ટાટાનો નંબર કેમ બંધ આવે છે. પ્રવીણભાઇએ કસ્ટમર કેરમાં ફોન કર્યો ત્યારે તેમને જાણ થઇ કે તેમનો નંબર કરવા માટે રિકવેસ્ટ આવી છે. પ્રવીણભાઇએ કસ્ટમર કેરના કર્મચારીને જણાવ્યું કે નંબર બંધ કરવા માટે મેં કોઇ ફોન નથી કર્યો અને જે નંબરથી ફોન આવ્યો હતો તે મારો નંબર નથી.
પ્રવીણભાઇની વાત સાંભળીને કર્મચારીએ જણાવ્યું કે ફોન કરનાર વ્યકિતને તમારા નંબરની બધી વિગતો પૂછવામાં આવી હતી. જેની તેણે તમામ માહિતી સાચી આપી હતી. ફોન કરનારની વિગતો સાચી હોવાથી ફોન નંબર બંધ કરી દીધો હતો. પ્રવીણભાઇએ નંબર બંધ કરવા માટે કોઇ રિકવેસ્ટ કરી નહીં હોવાનું કહીને ફરીથી નંબર શરૂ કરી દેવાનું કહ્યું હતું. પ્રવીણભાઇનો નંબર ફરીથી ચાલુ થઇ ગયો હતો. જેનો મેસેજ પણ તેમને મોબાઇલમાં મળી ગયો હતો.
તારીખ ૧ જૂનના રોજ સાંજે ફરીથી પ્રવીણભાઇનો નંબર બંધ થઇ ગયો હતો. જેથી તેમણે કસ્ટમર કેરમાં ફોન કરીને પૂછ્યું હતું. પ્રવીણભાઇએ બિલ નહીં ભર્યું હોવાથી નંબર બંધ થઇ ગયો હોવાનું કસ્ટમર કેરના કર્મચારીએ કહ્યું હતું. પ્રવીણભાઇએ મોબાઇલ બિલ ભર્યા બાદ પણ નંબર ચાલુ નહીં થતાં તેમણે કસ્ટમર કેરમાં ફોન કરીને જાણ કરી હતી. જેમાં કસ્ટમર કેરના કર્મચારીએ જણાવ્યું હતું કે તારીખ ૨૮ મે ના રોજ મોબાઇલ ખોવાઇ ગયો હોવાથી નંબર બંધ કરવા માટેની રિકવેસ્ટ આવી હતી. જેથી સીમકાર્ડ બંધ કરી દીધું હતું. જેથી હવે કસ્ટમર સેન્ટરમાં જઇને નવું સીમકાર્ડ લેવું પડશે.
પ્રવીણભાઇ સેટેલાઇટ કસ્ટમર સેન્ટર પર ગયા હતા. જ્યાં સેલ્સમેને સીમકાર્ડ શરૂ થઇ જશે. નવું કાર્ડ લેવું નહીં પડે તેમ કહ્યું હતું. તારીખ ૩ જૂનના રોજ પ્રવીણભાઇનો નંબર શરૂ થઇ ગયો હતો. તારીખ૪ જૂનના રોજ ફરીથી ઓફિસના કર્મચારીનો પ્રવીણભાઇના બીજા નંબર પર ફોન આવ્યો હતો અને ટાટાનો નંબર બંધ થઇ ગયો હોવાનું કહ્યું હતું. પ્રવીણભાઇએ તરત જ કસ્ટમર કેરમાં ફોન કરીને નંબર ચાલુ કરાવ્યો હતો.
તારીખ ૪ જૂનના રોજ ડીસીબી બેન્કથી કંપનીને ઓનલાઇટ આરટીજીએસ અને એનઇએફટી કરવાની હોવાથી પ્રવીણભાઇએ ઓફિસના કમ્પ્યૂટરથી નેટ બેન્કિંગ આઇડી પાસવર્ડ નાખીને લોગ ઈન કર્યું હતું. જોકે હેકર્સે લોગ ઇન પાસવર્ડ બદલી નાખ્યા હતા. પ્રવીણભાઈને શંકા જતાં બેન્કના સ્ટેટમેન્ટ ઇ-મેઇલ કરવાનું કહ્યું હતું. બેન્ક એકાઉન્ટનાં સ્ટેટમેન્ટ ચેક કરતાં જાણવા મળ્યું હતું કે નરેશ રાઠોડ, રાકેશકુમાર સોહિતરોય નામની વ્યકિતએ ત્રણ બેન્કમાં ૫૨.૫૭ લાખ રૂપિયાનું નેટ બેન્કિંગ મારફતે ટ્રાન્સફર કર્યું છે.